Botad News : બોટાદના હડદડ ગામે રવિવારે સાંજે ખેડુતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ સર્જાયું હતું. બોટાદના હડદડ ગામે લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. જેમાં બોટાદ DYSP મહર્ષિ રાવલ, LCB PI એ. જી. સોલંકી સહિત ચારથી વધુ પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી છે. બોટાદમાં પથ્થરમારાની ઘટના બાદ આપના નેતાઓ સામે FIR થઈ છે. આપ નેતા પ્રવીણ રામ, રાજુ કરપડા સહિત 85 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. હત્યાનો પ્રયાસ, ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળીનો આરોપ લગાવાયો છે. આ કેસમાં અનેક લોકોની ધરપકડના ભણકારા છે.
પોલીસે ફરિયાદમાં બીજું શું શું લખ્યું
આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવિણ રામ અને એક મહિલા સહિતના નેતાઓ સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે. કુલ 85 લોકોના નામનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જેમાં આપના નેતાઓ અને હોદ્દેદારો દ્વારા પૂર્વ આયોજીત કાવતરૂં રચીને સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી ઉશ્કેરણીજનક ભાષણો આપી ટોળાને ઉશ્કેર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
સમગ્ર મામલે બોટાદ એસપી ધર્મેન્દ્ર શર્માએ માહિતી આપતા જણાવ્યું કે, બોટાદમાં પથ્થરમારા સંબંધમાં આપના નેતાઓ સામે FIR થઈ છે. પ્રવીણ રામ, રાજુ કરપડા સહિત 85 લોકો સામે ફરિયાદ છે, જેમાં 65 અટકાયત કરી. હત્યાનો પ્રયાસ અને ગેરકાયદેસર મંડળીનો આરોપ મૂકાયો છે. 50થી વધુ જેટલા વાહનોને પણ ડિટેઇન કરવામાં આવ્યા છે. હળદર ગામે બનેલ ઘટનાને લઈને મંજૂરી વગર સભામાં થયેલા ઘર્ષણ મુદ્દે આપ નેતા રજુ કરપડા અને પ્રવીણરામ અને મુખ્ય આરોપી છે. સુરેન્દ્રનગર બોટાદ જુનાગઢ સહિતના ગામોમાંથી આવેલા આપના કાર્યકર્તાઓ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.
85 લોકોના નામનું લિસ્ટ
હાલ સમગ્ર બોટાદમાં ઘર્ષણ બાદ હાલ સ્થિતિ કાબૂમાં છે. હડદડ ગામે હાલ પરિસ્થિતિ સામાન્ય છે. હડદડ ગામે મસમોટો પોલીસ કાફલો ગોઠવ્યો અને ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. હડદડ ગામે ખેડુતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું તેમા મોટાભાગના ગામ બહારના લોકો હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. સ્થાનિક આગેવાન મયુરભાઈ જમોડે કહ્યું કે, પોલીસે ગામના કેટલાક નિર્દોષ લોકોને માર મારીને પકડ્યા છે તે વ્યાજબી નથી. પોલીસે જે પણ નિર્દોષ લોકોને પકડયા છે તેને છોડવામાં આવે તેવી આગેવાને માંગ કરી.
સમગ્ર મામલે આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ કહ્યું કે, 250 જેટલા લોકોની ધરપકડ કરી છે જેમને પાણી કે જમવાનું નથી અપાયું. આ હદે અત્યાચાર કરશો. આ નિમ્ન કક્ષાની રાજનીતિથી લોકોમાં રોષ છે. પોલીસને કહેવા માગું છું કે ભાજપના ઈશારે ક્યાં સુધી ચાલશો. હજારો પોલીસ કર્મચારી ગામડે ગામડે ગોઠવી દીધા છે. હિંસા કોઈ પણ જગ્યા પર છે તે સ્વીકાર્ય નથી. એક apmc નહિ બીજે પણ વિરોધ થશે. Aap પાર્ટી 100 ની ટીમ બનાવી apmc જઇ વિરોધ કરશે. વેપારીઓને વિનંતી કે કૌભાંડ થાય તો જાણ કરે અમે નંબર જાહેર કરીશું. આજે અમે આ ઘટનાને લઈને કાળી પટ્ટી બાંધી કાળો દિવસ તરીકે ઉજવી રહ્યા છે. ખેડૂતો પર ગોળીબાર, ટીયરગેસ છોડશો એ નહિ ચાલે. અમે 9104918196 હેલ્પલાઈન નંબર જાહેર કરીએ છીએ. કોઈ પણ અત્યાચાર હોય આ નંબર પર સંપર્ક કરે. અમે જેલ જવા પણ તૈયાર છીએ.
ગોપાલ ઈટાલિયાની પ્રતિક્રીયા
બોટાદમાં બબાલ મુદ્દે વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, મેં મારી જિંદગીમાં ઘણી લાચારી જોઈ છે. ટીપી સ્કીમ લાવી લોકોની ૪૦ ટકા જમીનો પચાવી લેવાઈ છે. રાજકોટ મહાનગર પાલિકાએ ૩૦૦ કરોડની જમીન વેચી વિકાસ કર્યો. ટીપી જનતા માટે નહીં બુચ મારવા માટે આવે છે. રાજકોટ મહાનગર પાલિકા દિવાળીના સેલની જેમ જમીનો વેચવા કાઢી. રાજકોટમાં ૧૧૮ કરોડ પ્લોટ વેચી RMC પ્લોટના હપ્તા કર્યા. લોકોને કોઈ જરૂરિયાત હોય તો આંદોલન કરવા પડે.
ગોપાલ ઈટાલિયાએ બોટાદી ઘટનાને પાટીદાર આંદોલન સરખાવી. તેમણે કહ્યુ કે, કોઈ 5 બુટલેગર લઈ આવ્યા તેઓએ પથ્થરમારો કર્યો. લોકોને કોઈ જરૂરિયાત હોય તો આંદોલન કરવા પડે. જેને જેને જનતાને દબાવવાનું કામ કર્યું તે બધા અધિકારીઓને લોઢાના મેડલ પહેરાવાનો છું. જ્યારે સરકારમાં આવીશ ત્યારે.