વડતાલધામમાં શરદોત્સવ સાથે આગામી ૨૦૦ વર્ષની પત્રિકાઓ અર્પણ.

By: nationgujarat
07 Oct, 2025

વડતાલધામમાં પરંપરાગત ૨૦૦ વર્ષ પૂર્વેનો શરદોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયોમંગળવારે સવારે શિક્ષાપત્રીલેખન એવમ આચાર્ય પદસ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવની પત્રિકા આચાર્ય મહારાજે દેવોને અર્પણ કરી
વડતાલ ધામ  – શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ મંદિર પરિસરમાં ભગવાન શ્રીસ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પૂર્વે સંતો ભક્તોએ દિવ્ય શરદોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવ્યો હતો. જે પરંપરા મુજબ આસોસુદ પુનમને સોમવારની રાત્રીએ ૯ થી ૧૨ કલાક દરમ્યાન ગુણાત્તીત ઓરકેસ્ટ્રા કલાકુંજ સુરતના સથવારે અંદાજીત બે થી ત્રણ હજાર સ્ત્રી પુરૂષ હરિભક્તોએ રાસની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે સંતોએ પણ રાસ ગરબાની રમડ બોલાવી હતી.
વડતાલ મંદિરના ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આસો માસની પૂર્ણિમાને શરદ પૂર્ણીમા અથવા રાસ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા કે વાલ્મીકી પૂર્ણીમા પણ કહેવામાં આવે છે. આ કૌમુદીની પૂર્ણીમાએ ચંદ્ર સોળે કળાએ ખીલે છે. ચંદ્રની ચાંદનીમાંથી અમૃત વરસે છે. ચંદ્રના કિરણો પૃથ્વી પર રેલાય છે ત્યારે શીતળતાનો અનુભવ થાય છે. શ્રીકૃષ્ણ ભગવાને આ દિવસે રાધાજી અને ગોપીઓ સાથે મહારાસ રચ્યો હતો. તા.૬ ઓક્ટોબર આસો સુદ પુનમ (શરદપૂર્ણીમા) ની ઉજવણી વડતાલધામ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ધામધૂમથી ઉજવાઇ હતી. રાત્રીના સમયે મંદિર પરિસરમાં આવેલ હરિમંડપ પાછળ કાષ્ટની ૧૦૦ ફુટ ઊંચી માંડવડી મુકવામાં આવી હતી. મંદિરના દેરામાંથી બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજીએ શ્રીહરિની મૂર્તિ સોનાની પાલખીમાં પધરાવી હતી. જે પાલખીયાત્રા સંતો હરિભક્તો નાસીક બેન્ડ સાથે વાજતે ગાજતે મંદિરની પ્રદક્ષિણા કરી માંડવડી ખાતે પહોંચી હતી. જ્યાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામી તથા સત્સંગમહાસભાના પ્રમુખ શા.નૌત્તમપ્રકાશદાસજી સહિત ધર્મવલ્લભસ્વામી (સુરત ગુરૂકુળ) તથા વડતાલ, સરધાર, વિદ્યાનગર મુખ્યમંદિર, ઉમરેઠ, વીરસદ, કુંડળધામ વિગેરે ધામના સંતો ઉપસ્થિત રહ્યા હતા. પૂજન આરતી બાદ નીલકંઠચરણ સ્વામીએ શરદોત્સવની કથાનું ઉપસ્થિત હરિભક્તોને સુમધુર શૈલીમાં રસપાન કરાવ્યું હતું. ત્યારબાદ ગુણાતીત ઓરકેસ્ટ્રા કલાકુંજ સુરત દ્વારા રાસનીરમઝટ બોલાવી હતી. જેમા જુઓ…. જુઓ…. ને સહેલીઓ આજ રસીયો રાસ રમે….. ના કિર્તને સહુ સ્ત્રી-પુરૂષ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. સંતોએ પણ પુરૂષ ભક્તો સાથે રાસની રમઝટ બોલાવી હતી. માંડવડીમાં પધરાવેલ શ્રીહરિની પાંચ આરતી ઉતારવામાં આવી હતી. શરદોત્સવની ઉજવણીમાં વડતાલ સહિત વલેટવા, સંજાયા, નરસંડા, જોળ, બામરોલી, સહિત આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાગ લીધો હતો. આરતી બાદ સહુ સંતો ભક્તોએ દુધ-પૌંઆનો પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી. જ્યારે મંગળવારે સવારે શણગાર આરતી બાદ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે શિક્ષાપત્રી લેખન તથા આચાર્ય પદસ્થાપન આમંત્રણ પત્રિકાનું પૂજન તથા લેખન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી, બાલકૃષ્ણ સ્વામી (મેમનગર), ધર્મવલ્લભસ્વામી (સુરત ગુરૂકુળ) વિવેકસાગર સ્વામી (સાળંગપુર કોઠારી), હરીકેશવસ્વામી (ધોલેરા), જુનાગઢ પ્રદેશ વતી રાધારમણસ્વામી (રાજકોટ) ગઢપુર પ્રદેશવતી હરિઓમસ્વામી (વડતાલ લ.દેવપાઠશાળા), ગોવિંદસ્વામી (મેતપુર), શ્રી વલ્લભસ્વામી (વડતાલ) તથા બાલસ્વામી (સરધાર) તથા કુંડળ ધામ વિગેરે ધામના સંતો અને વડતાલ તાબાના મંદિરોના કોઠારીશ્રીઓ યજમાનશ્રીઓ તથા વડતાલ ટ્રસ્ટી બોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રણ પત્રિકા લેખન બાદ આચાર્ય મહારાજશ્રીએ દેવોને તથા નંદસંતોના આસને આમંત્રણ પત્રિકા પાઠવી હતી. ત્યારબાદ વડતાલના સંતોએ આચાર્ય મહારાજશ્રીને આમંત્રણ પત્રિકા અર્પણ કરી હતી. અને મહારાજશ્રીએ સહુ યજમાનોને અને સંતોને પત્રિકા અર્પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામવલ્લભસ્વામીએ કર્યું હતું.


Related Posts

Load more