કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સાંજે સુરતના મહેમાન બનશે. તેઓ દિલ્હીથી સુરત એરપોર્ટ પહોંચશે, જ્યાંથી સીધા સર્કિટ હાઉસ જવા રવાના થશે. શાહ રાત્રિ રોકાણ સર્કિટ હાઉસ ખાતે કરશે. આ દરમિયાન, તેઓ ઉચ્ચ અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ સાથે બેઠક કરી શકે છે.બીજા દિવસે એટલે કે પહેલા નોરતે, અમિત શાહ સવારે 11 વાગ્યે કોસમાડા ગામની મુલાકાત લેશે. ત્યાં તેઓ ઇસ્કોન ટેમ્પલનું ભૂમિપૂજન કરશે. આ મંદિરનો અંદાજિત ખર્ચ 101 કરોડ રૂપિયા છે અને તે 2.1 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું હશે.
મહિલા રોજગાર અને સમાજ કલ્યાણના કાર્યો:
આ મંદિર માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર નહીં, પરંતુ સમાજ કલ્યાણનું પણ કેન્દ્ર બનશે. મંદિર પરિસરમાં સ્ત્રી સશક્તિકરણ માટે એક મહિલા રોજગાર કેન્દ્ર પણ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત, આરોગ્ય સંબંધિત જરૂરિયાતો માટે એક ક્લિનિક પણ અહીં બનાવવામાં આવશે. ગરીબોને દૈનિક મફતમાં ભોજન પણ પૂરું પાડવામાં આવશે.આમ, અમિત શાહની આ મુલાકાત સુરતમાં એક નવા મંદિરનો શિલાન્યાસ કરવા ઉપરાંત સામાજિક અને સેવાકીય કાર્યોને પણ પ્રોત્સાહન આપશે.