Balendra Shah: કોણ છે આ રેપર બાલેન શાહ? જેમને યુવાઓ સોંપવા માંગે છે નેપાળની કમાન

By: nationgujarat
09 Sep, 2025

નેપાળમાં ભયંકર ઉથલપાથલ જોવા મળી રહી છે. Gen Zના આંદોલન બાદ સ્થિતિ એવી વણસી છે કે આખરે પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીએ રાજીનામું આપવાની ફરજ પડી. આ સમગ્ર ઘટનાક્રમમાં એક નામ કેન્દ્રમાં આવ્યું છે અને તે છે બાલેન્દ્ર શાહનું નામ. જેને લોકો બાલેન શાહ પણ કહે છે.

કોણ છે બાલેન શાહ
બાલેન્દ્ર શાહ એટલે કે બાલેન શાહ કાઠમંડુના મેયર છે અને નેપાળમાં યુવાઓ વચ્ચે ખુબ લોકપ્રિય છે. આ જ કારણ છે કે તેઓ કોઈ પણ અન્ય મેયર કરતા અલગ છે. મોટાભાગે મેયર પોતાની નગરપાલિકાઓથી આગળ ભાગ્યે જ ધ્યાન આપતા હોય પરંતુ આ વ્યક્તિ નેપાળના આ મોટા આંદોલનના કેન્દ્રમાં છે.

ટાઈમ મેગેઝીનની સૂચિમાં
નેપાળ ન્યૂઝ મુજબ બાલેનના કદ અને પ્રભાવનો અંદાજો એ વાતથી લગાવી શકાયકે ટાઈમ મેગેઝીને તેમને 2023ની પોતાની ટોચના 100 હસ્તીઓની યાદીમાં સામેલ કર્યા હતા. ધ ન્યૂયોર્ક ટાઈમ્સ જેવા વિશ્વ વિખ્યાત મીડિયા સંસ્થાનોએ પણ તેમને કવર કર્યા હતા. યુવાઓ વચ્ચે તેમના મોટા પાયે ફોલોઅર્સ છે. યુવાઓ તેમને  ઝડપથી ટ્રેન્ડ કરવા લાગે છે. તેમની જીવનશૈલી, રહેણી કરણી, સ્ટાઈલ બધુ જ ત્યાના યુવાઓ માટે એક રોલ મોડલ જેવું છે. આ જ કારણ છે કે આવડા મોટા આંદોલનને બાલેને ખુબ સરળતાથી પોતાનું સમર્થન આપીને હાઈજેક કરી લીધુ.

એન્જિનિયરથી રેપર અને મેયર સુધીની સફર
બાલેન શાહે પોતાની કરિયરની શરૂઆત એક સિવિલ એન્જિનિયર તરીકે કરી હતી. ત્યારબાદ તેમણે રેપર તરીકે ભાગ્ય અજમાવ્યું અને પછી રાજકારણમાં ઝંપ લાવ્યું અને કાઠમંડુના મેયર પદની ચૂંટણી લડી અને જીતી પણ ગયા. રાજકારણમાં યુવાઓ વચ્ચે લોકપ્રિયતા, પરંપરાગત રાજનીતિક પક્ષોથી નેપાળી યુવાઓનો વધતા મોહભંગે બાલેનને નાયક બનાવી દીધા.

ભારતીય ફિલ્મનો કર્યો હતો વિરોધ
2023માં એક રામાયણની કહાનીથી પ્રેરિત આદિપુરુષ ફિલ્મ આવી હતી. તે સમયે કાઠમંડુના મેયર બાલેન શાહે આ ફિલ્મના કેટલાક ડાયલોગ પર આપત્તિ જતાવી હતી અને તેને ફિલ્મમાંથી હટાવવાની માંગણી કરી હતી. આમ ન થાય તો ચેતવણી આપી હતી કે નેપાળ અને કાઠમંડુમાં કોઈ પણ ભારતીય ફિલ્મ ચાલવા દેશે નહીં.

કઈ રીતે આંદોલનના કેન્દ્રમાં આવ્યા
નેપાળમાં રાજનેતાઓના બાળકોની અસાધારણ જીવનશૈલી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં #Nepokid ટ્રેન્ડ કરવા લાગ્યું. સરકારે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવાની કોશિશ કરી. ત્યારબાદ ઝેન ઝેડે દેશભરમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. જના પર સરકારની આકરી પ્રતિક્રિયા સામે આવી. પોલીસ કાર્યવાહીમાં 20 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા અને અનેક લોકો ઘાયલ થયા. એકલા કાઠમંડુમાં જ 18 પ્રદર્શનકારીઓના જીવ ગયા.

બાલેને આ સમગ્ર આંદોલનને પોતાનું સમર્થન આપ્યું છે. આવામાં યુવાઓએ તેમને હીરો તરીકે રજૂ કર્યા. કાઠમંડુ મેટ્રોપોલીટન સિટીના મેયર બાલેન્દ્ર શાહે ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાના સરકારના હાલના નિર્ણય વિરુદધ સોમવારે ઝેન-ઝેડના નેતૃત્વવાળી રેલી પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું.

શાહે લખ્યું કે આ રેલી સ્પષ્ટ રીતે જનરલ ઝીનું એક સ્વયંપ્રેરિત આંદોલન છે જેના માટે હું પણ વૃદ્ધ લાગી શકું છું. હું તેમની આકાંક્ષાઓ, હેતુઓ અને વિચારધારાને સમજી શકું છું. રાજકીય પક્ષો, નેતાઓ, કાર્યકરો, સાંસદો અને પ્રચારકો આ રેલીને પોતાના સ્વાર્થ માટે ઉપયોગમાં લેવી જોઈએ નહીં. શાહે ભારપૂર્વક કહ્યું કે જો કે અમે તેમાં સામેલ નહીં થઈએ પરંતુ પ્રદર્શનકારીઓને તેમનું પૂર્ણ સમર્થન છે.

બાલેનને સત્તા સોંપવાની માંગ
આ બધા વચ્ચે પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીના રાજીનામું પડ્યું, બાલેનને નેતૃત્વ સોંપવાની માંગણી પણ પ્રબળ બની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે


Related Posts

Load more