શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ આનંદધામ હીરાપુર ખાતે ભાદરવા સુદ પૂર્ણિમાના રોજ સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની માસિક અંતર્ધાન દિન નિમિત્તે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રીજી વિજય સેવા સમિતિના સભ્યોની સત્સંગ શિબિર પણ યોજવામાં આવી હતી. જેની અંદર મોટી સંખ્યામાં યુવાનોએ સત્સંગનો લાભ લીધો હતો.
આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ જીવનમાં સત્સંગનું મહત્વ વિષય ઉપર પ્રવચન આપ્યા હતા.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જીવનમાં સુખી થવા માટે ભગવાનને પ્રાધાન્ય આપવું જોઈએ.
જેમ શાકમાં મીઠું ન હોય,
કંસારમાં ગળપણ ન હોય,
ચેકમાં સહી ના હોય,
જાનમાં વરરાજા ના હોય.
તો તે સર્વે નકામું છે તેમ,
આપણા જીવનમાં ભગવાનનું પ્રાધાન્ય ન હોય તો તે માનવ જીવન નકામું સાબિત થાય છે. તેથી આપણે આપણા જીવનમાં ભક્તિ અને સત્સંગને પ્રાધાન્ય અવશ્ય આપવું જોઈએ. આપણા જીવનમાં જેટલી ભગવાનને પ્રાધાન્યતા આપીશું એટલું આપણને સુખ અને શાંતિ પ્રાપ્ત થશે.
આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ કહ્યું છે કે ભગવાન મુખ્ય ને વ્યવહાર ગૌણ કરવો તો સુખી થઈ શકાશે.