મરાઠા અનામત મુદ્દે ફડણવીસ સરકાર બરોબર ની ફસાઈ,કદાવર મંત્રીએ જ વાંધો ઊઠાવ્યો

By: Krunal Bhavsar
03 Sep, 2025

મરાઠા આરક્ષણ  : મહારાષ્ટ્ર સરકાર માન્ય મરાઠાઓને કુણબી જાતિનું પ્રમાણ પત્ર આપવા તૈયાર છે. જો કે, આ મામલે હવે સરકારમાં આંતરિક વિખવાદ સર્જાવાની શક્યતા વધી છે. એનસીપીના મંત્રી છગન ભુજબળે સરકારના નિર્ણયનો વિરોધ કરતાં કેબિનેટ બેઠકનો બહિષ્કાર કર્યો હોવાની પોતે જાહેરાત કરી છે. જ્યારે વિપક્ષ ગઠબંધનમાં સામેલ કોંગ્રેસે આ સંદર્ભે છ સપ્ટેમ્બરના રોજ ઓબીસી નેતાઓની બેઠક બોલાવી હતી.

વિસ્તૃત અભ્યાસ બાદ આ મુદ્દે વિચારો વ્યક્ત કરીશ.

ઓબીસી નેતા ભુજબળે કહ્યું કે, ‘આ સંદર્ભે અમે કાયદાકીય સલાહ લઈ રહ્યા છીએ. આ પ્રકારના નિર્ણયની અમને અપેક્ષા ન હતી. જેથી મે કેબિનેટ બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. હું સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રસ્તાવનો અભ્યાસ કરી રહ્યા છે. હું અને મારી ટીમ આ પ્રસ્તાવનો અભ્યાસ કરી કાયદાકીય સલાહ લઈ રહ્યા છીએ. વિસ્તૃત અભ્યાસ બાદ આ મુદ્દે વિચારો વ્યક્ત કરીશ. ‘ભુજબળ ઓબીસી કેટેગરીમાં મરાઠાઓને અનામત આપવાનો વિરોધ કરી રહ્યા છે.

જરાંગેનો જબરો પલટવાર

મરાઠા જાતિના કાર્યકર મનોજ જરાંગેએ પલટવાર કરતા જણાવ્યું કે, ભુજબળનો વિરોધ દર્શાવે છે કે, સરકાર તરફથી જાહેર જીઆરમાં કોઈ ભૂલ નથી. જીઆરમાં કોઈ સમસ્યા નથી. તે યોગ્ય છે. વિરોધ પ્રદર્શન સ્થળ પર ઉપસ્થિત હાઈકોર્ટમાંથી ઓછામાં ઓછા 50 વકીલો અને નિષ્ણાતોએ આ જીઆર પર સહમતિ દર્શાવી છે. અમુક લોકો સમુદાયને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જો જીઆરમાં કોઈ ભૂલ હશે, તો સરકાર જરૂરિયાત મુજબ તેમાં ફેરફારો કરી શકશે.

ઓબીસી ક્વોટા પર કોઈ અસર ન થવાનો દાવો

રાષ્ટ્રીય ઓબીસી મહાસંઘના અધ્યક્ષ બબનરાવ તાવડેએ જણાવ્યું હતું કે, જીઆર અર્થાત સરકારી પ્રસ્તાવથી ઓબીસી ક્વોટામાં કોઈ અસર થશે નહીં. લોકોના જુદા-જુદા વિચાર હોઈ શકે છે. પરંતુ જ્યાં સુધી મને જાણકારી અને સમજણ છે, તો આ પ્રસ્તાવથી ઓબીસી ક્વોટા પર કોઈ અસર થશે નહીં. ઓબીસી સમુદાય કશુ ગુમાવશે નહીં. પરંતુ અમે આ મામલે કાયદાકીય સલાહ લેવા તૈયાર છે. જો જરૂર પડી તો આ પ્રસ્તાવને કોર્ટમાં પડકારીશું. વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને ઓબીસી સમુદાયના વિજય વડેટ્ટીવારે જણાવ્યું કે, ઓબીસી નેતાઓની બેઠક બોલાવવામાં આવી છે.

કુણબી પ્રમાણપત્ર માટે પેનલની રચના

મહારાષ્ટ્ર સરકારે મંગળવારે એક પેનલની રચના કરી હતી. આ પેનલ મરાઠા સમુદાયના લોકો કુણબીના વારસાનો ઐતિહાસિક પુરાવો રજૂ કરવામાં સફળ રહેતા લોકોને કુણબી પ્રમાણપત્ર આપશે. અગાઉ રાજ્યના મંત્રીઓ અને મરાઠા અનામતના કાર્યકર જરાંગે વચ્ચે ગહન ચર્ચા થઈ હતી. સામાજિક ન્યાય અને વિશેષ સહાયતા વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં હૈદરાબાદ ગેઝેટ લાગુ કરવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, હૈદરાબાદ ગેઝેટમાં નિર્ધારિત ઐતિહાસિક સંદર્ભોના આધારે દસ્તાવેજો રજૂ કરવા અને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપવા માટે મરાઠા સમુદાયના લોકોની પાત્રતા નિર્ધારિત કરવા તપાસ પ્રક્રિયા અપનાવવામાં આવશે. સમિતિ સુનિશ્ચિત કરશે કે, પ્રત્યેક દાવો સમયબદ્ધ અને પારદર્શક મૂલ્યાંકનને આધારે થાય.


Related Posts

Load more