ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખતા ખળભળાટ

By: nationgujarat
01 Sep, 2025

Mansukh Vasava: ભરૂચની દૂધધારા ડેરીની આગામી ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખી ગંભીર આરોપો લગાવ્યા છે. આ પત્રમાં કહ્યું કે, વર્તમાન પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની જેમ જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે. તેમણે દાદાગીરી કરનારા અને ભ્રષ્ટ લોકોને આગળ ધપાવી રહ્યા છે. 

ભાજપમાં આંતરિક ડખો? 

મનસુખ વસાવાએ પોતાના પત્રમાં લખ્યું કે, ‘પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના સમય ગાળા દરમિયાન પાર્ટી જૂના અને સંઘર્ષમાં જેમને કામ કર્યું છે તેવા લોકોની અવગણના કરી બીટીપીમાંથી આવેલાઓને ખોટી રીતે વધુ પડતું મહત્ત્વ આપી મહત્ત્વના પદો ઉપર બેસાડી દેવામાં આવ્યા છે અને આ જ માર્ગે તમે પણ આગળ વધી રહ્યા છો. પ્રકાશ દેસાઈ એક લિટર દૂધ, દૂધ ધારા ડેરીમાં આપતા નથી. પોતાના ગામની પણ ડેરી નથી. બીજી ડેરીમાંથી ખોટી રીતે રાજકીય વગ વાપરી તેમના નામની દરખાસ્ત કરાવી ડેરીમાં ઉમેદવારી કરી છે. સામ દામ દંડથી અને પૈસાના જોરથી ડિરેક્ટર બની પણ જશે પરંતુ, આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનાર લોકો આવી સહકારી સંસ્થાઓમાં આવશે તો સંસ્થાની શું હાલત થશે તે તો સમય જ બતાવશે.’

વધુમાં તેમણે લખ્યું કે, ‘આ જ રીતે તમે નેત્રંગ તાલુકામાં ચાસવડ ડેરીમાં જણયારીઓને કે જેઓ કૌભાંડમાં સામેલ છે તેમને તમે અને જિલ્લા રજિસ્ટ્રાર કોઈને કોઈ પ્રકારે કોકના દબાણમાં આવી ભ્રષ્ટાચારીબોને બચાવી રહ્યા છો. આપણી પાર્ટી મૂલ્ય આધારિત પાર્ટી છે, શિસ્તમાં માનવાવાળી પાર્ટી છે અને સરકાર અને સહકારમાં પારદર્શક વહીવટને પ્રાધાન્ય આપે છે. તો આ જ પ્રકાશ દેસાઈ એન્ડ કંપનીએ ઝઘડીયા એપીએમસીમાં જિલ્લામાં કે પ્રદેશમાં કોઈને પણ પૂછ્યા વગર પોતાની મનમાની કરી એપીએમસીનું માળખું બનાવી દીધું, જે પાર્ટીની પરંપરા વિરૂદ્ધ છે. ખરેખર તો જિલ્લા સંકલનમાં ઝઘડિયા એપીએમસીની ચર્ચા થવી જોઈતી હતી. પ્રજામાં ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે કે, મારૂતિસિંહ અને પ્રકાશ મોદીમાં કોઈ ફેર નથી તો, મારી આપને અપીલ છે કે જૂના કાર્યકર્તાઓની અવગણના ન કરશો. મહત્ત્વના નિર્ણયમાં જિલ્લા સંકલનમાં વિશ્વાસમાં લો તેવી મારી આપને સલાહ છે.’


Related Posts

Load more