વાવ બેઠક પર પેટાચૂંટણી માટે ભાજપમાં 20થી વધુ દાવેદાર, નિરીક્ષકો મૂંઝવણમાં મુકાયા

By: nationgujarat
17 Oct, 2024

ગુજરાતમાં આગામી મહિને 13 નવેમ્બર 2024ના રોજ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર અને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભાજપે વાવ બેઠક માટે પ્રભારી અને નિરીક્ષકોની નિમણૂક કરી છે. ત્યારે હવે પ્રભારીઓએ સેન્સ લેવાની કામગીરી હાથ ધરી છે. તેવામાં વાવ બેઠક માટે 20થી વધુ નેતાએ દાવેદારી નોંધાવતા હડકંપ મચ્યો છે.

પ્રદેશ ભાજપે નિયુક્ત કરેલા ત્રણ નિરક્ષકો વાવ વિધાનસભા વિસ્તારમાં પહોંચ્યા હતા. ઉમેદવારોની પસંદગી માટે ત્રણેય નિરીક્ષકોએ આજે સવારથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જો કે વાવ બેઠક પર પેટાચૂંટણી લડવા ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે અને 20થી વધુ દાવેદારોએ ટિકિટની માગણી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ગત વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે હારેલા ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પણ ફરી ચૂંટણી લડવા માટે તલપાપડ છે. ત્યારે હવે નિરીક્ષકો દાવેદારોના નામોની માહિતી પ્રદેશ ભાજપને સમક્ષ મૂકશે.

  • સ્વરૂપજી ઠાકોર
  • તારાબેન ઠાકોર
  • અમથુજી ઠાકોર
  • કરશનજી ઠાકોર
  • ગગજી ઠાકોર
  • વીરાજી ઠાકોર
  • દિલીપ વાઘેલા
  • રજનીશ ચૌધરી
  • મુકેશ ઠાકોર
  • શૈલેષ ચૌધરી
  • લાલજી પેટલ
  • રજની પેટલ
  • ગજેન્દ્રસિંહ રાણા

ભાજપે વાવ બેઠક માટે પ્રભારી અને નિરીક્ષકોની કરી નિમણૂક

ભાજપ દ્વારા વાવ બેઠક માટે ત્રણ નિરીક્ષક અને પ્રભારીની નિમણૂક કરાઈ હતી. રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને આગામી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિધાનસભાના પ્રભારી તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે વાવ બેઠક માટે 3 નિરીક્ષકોમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જનક પટેલ (બગદાણા), અસારવા ધારાસભ્ય દર્શના વાઘેલા અને પ્રદેશ પ્રવકતા યમલ વ્યાસને પણ જવાબદારી સોંપવામાં આવી છે.


Related Posts

Load more