આજથી નવરાત્રિ મહાપર્વ, આદ્ય શકિતની અખંડ આરાધનાનો અમૂલ્ય અવસર

By: nationgujarat
03 Oct, 2024

માડી તારા આવવાના એંધાણ થયા…, આજ થી  જગત જનની મા જગદંબાની ભકિતના પાવનકારી અવસર નવલા નવલી નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે ભાવનગર સહિત ગોહિલવાડના શ્રધ્ધેય પ્રાચીન અને અર્વાચીન શકિતધામો અને માઈમંદિરોમાં માઈભકતોના મીની મેળાવડાઓ જામશે. આ સાથે ચોતરફ જય જય માતાજીના ગગનભેદી નારાઓ ગૂંજી ઉઠશે. ગોહિલવાડના ગામેગામ નવરાત્રિ પર્વ રંગે ચંગે ઉજવવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. માઈભકતોમાં આસ્થાભેર ધર્મકાર્યોમાં જોડાવવા ઉત્સુકતા જોવા મળી રહેલ છે.

દિવંગત પિતૃઓનું તર્પણ કરવાના શ્રાધ્ધપક્ષનું ભાદરવા માસના અંતિમ દિવસ બુધવારે સર્વ પિતૃ અમાસ સાથે સમાપન થયા બાદ આવતીકાલ તા.૩ ઓકટોબરને ગુરૂવારથી શારદીય નવરાત્રિના પાવનકારી મહાપર્વનો મંગલમય પ્રારંભ થશે. આ સાથે માઈભકતો આદ્યશકિતની ભકિતમાં મગ્ન બની જશે. વર્ષ દરમિયાન શારદીય, ચૈત્રી, વાસંતિક અને ગુપ્ત એમ ચાર નવરાત્રિની ઉજવણી કરાય છે. જે પૈકી અતિ શુભદાયી ગણાતી શારદીય નવરાત્રિ મહોત્સવનો આવતીકાલ તા.૩થી મંગલમય પ્રારંભ થશે. શકિતની ભકિતના અનન્ય મહિમા ધરાવતા વર્ષના સૌથી વધુ લાંબા તહેવાર નવલાં નવરાત્રિ મહોત્સવની ચોમેર ભાવ અને ભકિતમય માહોલમાં પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરાશે. પ્રથમ નોરતે આવતીકાલ ગુરૂવારે સવારથી જ માઈમંદિરો અને મઢમાં મંગલ મુહૂતે શાસ્ત્રોકત રીતે સવારે ઘટ સ્થાપન કરાશે. આ પ્રસંગે માટીમાં અગીયાર ધાન્યની વાવણી કરીને જવારા ઉગાડવામાં આવશે. અને દશમાં દિવસે આ જવારાનું વિધિવત વિસર્જન કરવામાં આવશે.

સૈકાઓથી ભારતીય સંસ્કૃતિની આગવી અને અલાયદી ઓળખ સમાન નવરાત્રિમાં શકિતના નવ સ્વરૂપની આરાધના કરાશે. નવરાત્રિના પ્રારંભથી શહેરીજનોની અનન્ય આસ્થાના પ્રતિક સમાન નગરદેવી રા.રા.ખોડીયાર માતાજી, નાના અને મોટા રૂવાપરી માતાજી, શીતળા માતાજી, મહાલક્ષ્મી માતાજી, નાના અને મોટા અંબાજી,બાલા બહુચરાજી, અકવાડાના માતૃમંદિર માતૃધામ, કાળીયાબીડના મેલડી માતાજી, શકિત માતાજી, આશાપુરા માતાજી, ભંડારીયાના બહુચરાજી માતાજી, નાગધણીબાના નાગલપરી ખોડીયાર માતાજી, ભગુડામા મોગલ માતાજી, ઉંચા કોટડામાં ચામુંડા માતાજી સહિતના તમામ તમામ નામી અનામી પ્રાચીન અને અર્વાચીન માઈ મંદિરોમાં શ્રધ્ધાળુઓ વહેલી સવારથી જ દર્શનાર્થે ઉમટી પડશે. આ સાથે ભાવિકો દ્વારા અનુષ્ઠાન, ચંડીપાઠ, નવાર્ણ મંત્રજાપ, ઉપવાસ એકટાણા કરવામાં આવશે. મોડી સાંજથીજ ચોમેર સુશોભીત કરાયેલા પ્રાચીન અને અર્વાચીન ધર્મસ્થાનકોમાં, શેરીઓ મહોલ્લાઓમાં, કોમ્યુનિટી હોલ, પાર્ટીપ્લોટ, ચોકમાં  તેમજ  જ્ઞાતિ, સમાજની વાડી, શૈક્ષણિક સંસ્થાઓ, છાત્રાલયોમાં યુવા ખેલૈયાઓ દ્વારા મન મુકીને રાસગરબાની રમઝટ બોલાવવામાં આવશે.જયારે શહેરના હલુરીયા ચોક, આતાભાઈ ચોક, કાળુભા રોડ, ભગાતળાવ સ્થિત લાલગરબાવાનો મઠ, કરચલીયાપરા સહિતના સ્થળોએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પ્રાચીન અને અર્વાચીન ગરબી, ધાર્મિક અને ઐતિહાસિક ભવાઈ, નાટકો વિવિધ મંડળોના કલાકારો દ્વારા ભજવાશે. કાળક્રમે હવે પ્રાચીન ગરબીના આયોજનમાં ક્રમશ ઘટાડો થઈ રહ્યો છે. જયારે આંબાવાડી, ઘોઘાસર્કલ, મેઘાણી સર્કલ, કાળીયાબીડ અને ભગવતી સર્કલ સહિતના અનેક સ્થળોએ ફકત બહેનોના સાર્વજનિક રાસ ગરબાના આયોજનો રંગ જમાવશે. આ વર્ષે નવરાત્રિ અગાઉ એકાદ બે સંસ્થાઓને બાદ કરતા રાત્રિ બીફોર નવરાત્રિના આયોજનો બહુ ઓછા થયા હતા.

Related Posts

Load more