વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા હોદ્દો ભોગવતા લોકોને દૂર કરો’, જવાહર ચાવડાનો વધુ એક લેટર બોમ્બ

By: nationgujarat
19 Sep, 2024

માણાવદરના ભાજપના ધારાસભ્ય જવાહર ચાવડાએ વધુ એક લેટર બોમ્બ ફોડતા પોતાના પક્ષના જ કેટલાક લોકોએ તેમને હરાવવા પ્રયત્ન કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. 2017 અને 2019 વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા આ લોકોને પક્ષના વિવિધ હોદ્દા પરથી દૂર કરવામાં આવે તેવો પત્ર જવાહર ચાવડાએ લખ્યો છે. આ પત્રની નકલ વડાપ્રધાન મોદી, અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મોકલવામાં આવી છે.

 

જવાહર ચાવડાએ પત્રમાં શું લખ્યું?

જવાહર ચાવડાએ લખ્યું કે, જ્યારે હું 2017માં કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડેલ અને જીતેલ ત્યારે તે સમયના અને હાલના જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઇ પટેલ, રતિભાઇ સુરેજા (માજી મંત્રી), એલ.ટી. રાજાણી (માજી સંસદીય સચિવ) અને વંથલીના દિનેશભાઇ ખટારીયાએ તે સમયે મારૂ એટલે કે કોંગ્રેસના સમર્થનમાં અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના વિરોધમાં કામ કરેલ. આ બાબતની ફરિયાદ તે સમયના માણાવદરના વિધાનસભાના ભાજપના ઉમેદવાર નીતિન ભાઇ (ટીનુભાઇ) ફડદુ દ્વારા થયેલ હતી. દુ:ખની વાત એ છે કે 2017 અને 2019ની વિધાનસભા ચૂંટણીઓમાં ઉપરોક્ત લોકોએ ભાજપ વિરોધી કામ કરેલ હોય તો પણ તેઓ જીલ્લા ભાજપના મુખ્ય હોદ્દાઓ ભોગવી રહેલા છે.

ઉપરોક્ત તમામ વિગતો ધ્યાને લઇ ઉપરોક્ત તમામ હોદ્દેદારો, આગેવાનો કે જેણે માણાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં પાર્ટી વિરૂદ્ધ પ્રવૃતિ કરી ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડેલ છે તેમજ મારો પરાજય થાય તેવા સતત પ્રયત્નો કરવામાં આવેલા હતા. તેથી તેમની ઉપર કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે જેથી ભવિષ્યમાં આવનાર ચૂંટણીઓમાં પક્ષને નુકસાન થતું અટકાવી શકાય.”


Related Posts

Load more