સ્વામિનારાયણ ગાદી સંસ્થા- ઘનશ્યામ મહારાજનો ૮૦ મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ ઉજવાયો

By: nationgujarat
12 Mar, 2024

શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ ૪૫ મો પીઠાર્પણ ઉત્સવ પણ ઉજવાયો

પૂજનીય સંતો અને હરિભકતોએ કર્યું ૨૩૭ થી વધુ યુનિટનું રક્તદાન …

ભૂમંડળસ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન અધિષ્ઠાતા શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા આદિ સર્વોપરી ગુરુપરંપરાની મૂર્તિઓનો ૮૦ મો વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ દબદબાભેર ઉજવાયો. આ શુભ અવસરે શ્રી ઘનશ્યામ મહારાજને શુદ્ધોદક જળ, કેસર જળ, દૂધ, દહીં, શર્કરા, ઘી, મધ, અત્તર વગેરેથી રાજોપચાર વિધિપૂર્વક અભિષેક વિધિ કરવામાં આવ્યો હતો.

શ્રીસ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના પાવનકારી સાન્નિધ્યમાં પંચદિનોત્સવ દબદબાભેર ઊજવવામાં આવેલા પાટોત્સવ પર્વે સંતો-ભક્તોએ વિવિધ પકવાન, ફરસાણ, લીલા મેવા –ફ્રુટ– ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, અને ચોસ્યનો ભવ્ય અન્નકૂટની સુંદર કલાત્મક, મનોરમ્ય ગોઠવણીથી સજાવટ કરી હતી. ત્યારબાદ નિરાજન – આરતી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદનું દર્શન – શ્રવણ કર્યું હતું.

વળી, શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ ૪૫ મા પીઠાર્પણ ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે હજારો શ્રોતાઓ પર આશીર્વાદની હેલી વહાવતા પરમ પૂજ્ય આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, અક્ષરધામ તુલ્ય ભવ્ય અને દિવ્ય ગગનચુંબી શિખરબદ્ધ મંદિરનું સર્જન ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી આપ્યું છે. શ્રી ઘનશ્યામ મહારાજને અભિષેક કરેલા પંચામૃતનો પ્રસાદ જે જે કોઈ લેશે; એ બધા જ જીવનું આલોકનું શ્રી ઘનશ્યામ મહારાજ સારું કરશે અને ટાણું આવે સહુને પોતાની મૂર્તિના સુખે સુખિયા પણ કરશે, કરશે અને કરશે જ. વળી, મંદિરે રોજ ભગવાનનાં દર્શન કરવા માટે હાકલ કરી હતી. સત્પુરુષો આપણાં બાળકો, યુવાનોનું જીવન સુસંસ્કારી, નિયમશીલ બને તે માટે મંદિરનું નિર્માણ કરે છે. જેટલાં બાળકો, યુવાનો સારા સંસ્કારી બનશે તેટલું વૃદ્ધાવસ્થામાં સુખ થશે. જો બાળકને સંસ્કાર આપ્યા હશે તો બાળકો પણ સચવાશે સાથે સાથે ધન વારસો પણ સચવાશે. બધાએ આ ખટકો રાખવાનો છે. યુવાનો દરરોજ સવારે ભગવાનનાં દર્શનનો નિયમ રાખશો તો તમે જે જે કાર્યો કરશોને તેમાં ભગવાન ભેગા ભળશે. પંચમ દિવસીય આ મહોત્સવમાં શ્રી રહસ્યાર્થ પ્રદીપીકા ટીકા સહ વચનામૃત ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પારાયણ, રક્તદાન મહાદાન…પૂજનીય સંતો અને હરિભકતોએ કર્યું ૨૩૭ યુનિટ રક્તદાન વગેરે પંચદિનોત્સવ અધ્યાત્મસભર કાર્યક્રમોમાં દેશ-વિદેશના હજારો હરિભક્તોએ દર્શન, શ્રવણ, દિવ્ય આશીર્વાદ, આરતી વગેરેનો અણમોલ લ્હાવો લીધો હતો .


Related Posts

Load more