16 વર્ષીય કિશોરી સાથે બે નરાધમોનું દુષ્કર્મ; ગર્ભવતી થતાં ચોંકાવનારો ખુલાસો

By: Nation Gujarat Team
12 Mar, 2026

વડોદરા: વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં સગીરા સાથે દુરાચારનો ગંભીર બનાવ સામે આવ્યો છે. 16 વર્ષની કિશોરી સાથે જ્યોતી ફાઉન્ડેશન ટ્રસ્ટના સંચાલક દ્વારા દુષ્કર્મ આચરાયું હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવેલા અન્ય એક યુવાને પણ સગીરા સાથે દુરાચાર કર્યો હોવાનો આરોપ છે. કિશોરી છ મહિનાની ગર્ભવતી હોવાની જાણ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ત્યારબાદ પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે બંને આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી જ્યોતિ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં કામ કરવા ગયેલી 16 વર્ષીય કિશોરી સાથે ગંભીર દુરાચારની ઘટના સામે આવી છે. પીડિતાની માતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ટ્રસ્ટના સંચાલક પંકજ રમેશભાઈ પરમારએ સગીરાને કામના બહાને ટ્રસ્ટમાં બોલાવી વિશ્વાસમાં લીધી અને તેની સાથે જબરદસ્તી કરી હતી. માતાના જણાવ્યા મુજબ આરોપીએ કિશોરીને ચોકલેટ આપીને વિશ્વાસમાં લીધી અને બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાના બાદ સગીરા ડર અને માનસિક દબાણના કારણે લાંબા સમય સુધી આ બાબત પરિવારને કહી શકી નહોતી. દરમિયાન સગીરાના સ્વાસ્થ્યમાં બદલાવ જણાતા પરિવારને શંકા ગઈ હતી. જ્યારે તપાસ કરાવવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે સગીરા છ મહિનાની ગર્ભવતી છે. આ જાણ થતાં પરિવાર સ્તબ્ધ બની ગયો હતો અને માતા શોકમગ્ન બની ગઈ હતી.

ફરિયાદ મુજબ આ કેસમાં એક બીજો આરોપી પણ સામે આવ્યો છે. સગીરા સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા એક યુવાન સાથે ઓળખમાં આવી હતી. આ યુવાન જતીન ઉર્ફે આદેશ ઇશ્વરભાઈ ગોહીલ હોવાનું સામે આવ્યું છે. જે છાણી વિસ્તારમાં રહે છે. આરોપ છે કે આ યુવાને પણ સગીરાનો વિશ્વાસ જીતી તેની સાથે દુરાચાર કર્યો હતો. હાલમાં સગીરાને છ મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે અને આ ગર્ભ કોના કારણે છે તે જાણવા માટે તબીબી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ મેડિકલ રિપોર્ટ અને FSL તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે ગર્ભ કોનો છે. આ ઘટનાની જાણ થતા મકરપુરા પોલીસ સ્ટેશનએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા

પીડિતાની માતાના જણાવ્યા મુજબ પિતાની તબિયત લાંબા સમયથી ખરાબ રહેતી હોવાથી દીકરીએ ડરના કારણે આ બાબત પરિવારને જણાવી નહોતી. પરિવાર જ્યારે દીકરીને વારંવાર પૂછતો હતો ત્યારે તે હોસ્પિટલ જવાનું ટાળતી હતી. શરૂઆતમાં પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ખર્ચ વધારે હોવાને કારણે તેઓ સરકારી હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં ડોક્ટરે પોલીસને જાણ કરવાની સલાહ આપતાં પરિવાર ગભરાઈ ગયો હતો અને થોડા સમય માટે પાછો ફર્યો હતો.

બાદમાં પરિવારના એક મિત્રએ હિંમત આપતા આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલમાં પીડિતા સગીરા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે POCSO અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને બંને આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related Posts

Load more