12%થી વધુ આલ્કોહોલવાળી દવાઓના વેચાણ પર સરકારનો મોટો નિર્ણય, હવે આ લોકોને નહીં મળે દવા

By: Nation Gujarat Team
10 Jul, 2026

દેશમાં કફ સિરપ અને આલ્કોહોલયુક્ત ટોનિકના નશા માટે થતા દુરુપયોગને રોકવા કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારેડ્રગ્સ રૂલ્સ, 1945માં સુધારો કરીને 30 મિલીથી મોટી અને 12 ટકાથી વધુ ઇથાઇલ આલ્કોહોલ ધરાવતી તમામ મૌખિક પ્રવાહી દવાઓને હવે’શેડ્યૂલ H1′ હેઠળ લાવવાનો નિર્ણય કર્યો છે. આ ફેરફાર બાદ આવી દવાઓ હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાશે નહીં.

પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ પર પ્રતિબંધ

નવા નિયમ મુજબ જે મૌખિક દવાઓનું પેકિંગ 30 મિલીથી મોટું હશે અને તેમાં 12 ટકાથી વધુ ઇથાઇલ આલ્કોહોલ હશે, તે તમામ દવાઓ માટે હવે ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત રહેશે. આ દવાઓ હવે સામાન્ય કાઉન્ટર પરથી ખુલ્લેઆમ ખરીદી શકાશે નહીં. દવા વેચનારોએ આવા વેચાણનો સંપૂર્ણ રેકોર્ડ જાળવવો પડશે અને દવાઓ પર જરૂરી ચેતવણી લેબલ પણ લગાવવા પડશે

શેડ્યૂલ Kની છૂટછાટ પણ સમાપ્ત

સરકારે આ સુધારા સાથે શેડ્યૂલ Kમાં પણ ફેરફાર કર્યો છે. અગાઉ કેટલીક દવાઓને મળતી નિયમનાત્મક છૂટછાટ હવે આ શ્રેણીની દવાઓ માટે લાગુ નહીં પડે. ઉત્પાદનથી લઈને વિતરણ અને રિટેલ વેચાણ સુધી સમગ્ર સપ્લાય ચેઇન પર હવે વધુ કડક દેખરેખ રાખવામાં આવશે.

નશાના દુરુપયોગને રોકવાનો પ્રયાસ

સરકારના જણાવ્યા મુજબ કેટલાક લોકો કફ સિરપ અને ટોનિક જેવી આલ્કોહોલયુક્ત દવાઓનો નશા માટે દુરુપયોગ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ કારણસર આવી દવાઓને હવે ઊંઘની ગોળીઓ, શક્તિશાળી પેઇનકિલર્સ અને અન્ય સંવેદનશીલ દવાઓની જેમ ‘શેડ્યૂલ H1’ હેઠળ સામેલ કરવામાં આવી છે.

ઓક્ટોબર 2025માં મૂકાયો હતો ડ્રાફ્ટ

આ નિયમનો ડ્રાફ્ટ ઓક્ટોબર 2025માં જાહેર કરીને લોકો પાસેથી સૂચનો અને વાંધા મંગાવવામાં આવ્યા હતા. 30 દિવસના સમયગાળા દરમિયાન કોઈ નોંધપાત્ર વાંધો ન આવતા સરકારે ડ્રગ ટેકનિકલ સલાહકાર બોર્ડ સાથે ચર્ચા કર્યા બાદ આ સુધારાને અંતિમ મંજૂરી આપી છે.

જાન્યુઆરી 2027થી અમલની શક્યતા

સરકારના ગેઝેટમાં આ નિયમ પ્રકાશિત થયાના છ મહિના બાદ તેનો અમલ શરૂ થશે. એટલે કે, અંદાજે જાન્યુઆરી 2027થી નવા નિયમો લાગુ થવાની શક્યતા છે. ત્યાં સુધી ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને દવા વેચનારાઓને પેકેજિંગ, લેબલિંગ અને વેચાણની પ્રક્રિયામાં જરૂરી ફેરફારો કરવા માટે સમય આપવામાં આવશે.


Related Posts

Load more