ભારતીય કલા જગત માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવનાર પ્રખ્યાત શિલ્પકાર રામ વણજી સુતારનું 100 વર્ષની ઉંમરે નિધન થયું છે. વિગતો મુજબ તેમણે 17 ડિસેમ્બર 2025ની મધરાત્રે નોઈડા સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનને કલા જગતમાં એક યુગના અંત તરીકે જોવામાં આવી રહ્યું છે. આ તરફ PM મોદીએ પણ તેમના નિધનને લઈ દુ:ખ વ્યક્ત કર્યું છે.
કોણ હતા શિલ્પકાર રામ વણજી સુતાર ?
19 ફેબ્રુઆરી 1925ના રોજ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના ગોંડુર ગામમાં જન્મેલા રામ સુતારે મુંબઈની પ્રખ્યાત જેજે સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી શિલ્પકલા શીખી. તેમના લગભગ 70 વર્ષના કારકિર્દી દરમિયાન તેમણે ભારતીય શિલ્પકલાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી. 100 વર્ષની ઉંમર સુધી તેઓ સક્રિય રહ્યા હતા અને મોટા પ્રોજેક્ટ્સ પર કાર્ય કરતા રહ્યા, જે તેમની અદભુત લગન અને ઊર્જાનું ઉત્તમ ઉદાહરણ છે. રામ સુતારને પથ્થરમાં પ્રાણ પૂરનાર કલાકાર તરીકે ઓળખવામાં આવતા હતા. તેમણે માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પણ ભારતીય સંસ્કૃતિ અને મહાન વ્યક્તિત્વોને પોતાની કળા દ્વારા જીવંત કર્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સૌથી મોટી સિદ્ધિ
રામ સુતારની સૌથી મોટી સિદ્ધિ તરીકે ગુજરાતના કેવડિયામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા ગણાય છે, જેને વિશ્વ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” તરીકે ઓળખે છે. આ પ્રતિમાએ ભારતને વિશ્વના નકશા પર વિશેષ સ્થાન અપાવ્યું
અનેક મહાન વ્યક્તિત્વોની પ્રતિમાઓ રચી
રામ સુતારે મહાત્મા ગાંધીની અનેક પ્રતિમાઓ બનાવી, જેમાં દિલ્હીની સંસદ બહાર આવેલી ધ્યાનસ્થ ગાંધીજીની પ્રતિમા વિશેષ જાણીતી છે. ઉપરાંત તેમણે ડૉ. બી.આર. આંબેડકર, છત્રપતિ શિવાજી મહારાજ, મહારાજા સુહેલદેવ સહિત અનેક મહાન નેતાઓ અને ઐતિહાસિક વ્યક્તિત્વોની પ્રતિમાઓ રચી છે.
તેમના અદ્વિતીય યોગદાન બદલ ભારત સરકારે તેમને 1999માં પદ્મશ્રી અને 2016માં પદ્મ ભૂષણ થી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત તેમને ટાગોર પુરસ્કાર અને તાજેતરમાં નવેમ્બર 2025માં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા.