Surat Engineer Moves HC Over Suspension: સુરતના ચર્ચિત નાસિરનગર ડિમોલિશન કેસમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં સસ્પેન્ડ કરવામાં આવેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુઝલ પ્રજાપતિએ હવે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેમણે પોતાના સસ્પેન્શન ઓર્ડરને પડકારતી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરીને તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સુજલ પ્રજાપતિએ ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન (SCA) નંબર 20772/2026 દાખલ કરી સસ્પેન્શનના આદેશને કાયદાકીય રીતે પડકાર્યો છે.
“હું માત્ર બલીનો બકરો, આદેશ તો ઉપરથી હતા”
હાઇકોર્ટમાં રજૂ કરેલી અરજીમાં સુઝલ પ્રજાપતિએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમણે માત્ર પોતાના ઉચ્ચ અધિકારીઓના આદેશનું પાલન કર્યું હતું. અરજદારે દાવો કર્યો છે કે, આ આખી ઘટનામાં તેઓને અન્યાયી રીતે ‘બલીનો બકરો’ બનાવી દેવામાં આવ્યા છે. તેમણે પોતાની સેવા પર પુનઃસ્થાપના અને સસ્પેન્શનના આદેશને રદ કરવાની માંગ કરી છે.
વોટ્સએપ ચેટ્સ અને અન્ય પુરાવાની નકલો રજૂ કરી
આ ગંભીર દાવાના સમર્થનમાં તેમણે હાઈકોર્ટ સમક્ષ મહત્વના ડિજિટલ પુરાવા જેવા કે વોટ્સએપ ચેટ્સ અને અન્ય સત્તાવાર સંચાર માધ્યમો દ્વારા મળેલી તમામ સૂચનાઓની નકલો રજૂ કરી છે. આ પુરાવાઓના કારણે મનપાના ટોચના વહીવટી વડાઓની કથની અને કરની વચ્ચેનો તફાવત હવે ન્યાયતંત્ર સમક્ષ ખુલ્લો પડી ગયો છે.
21 મે, 2026ના રોજ મ્યુનિસિપલ કમિશનર તરફથી એક વોટ્સએપ મેસેજ
એફિડેવિટ સાથે સ્ક્રીનશોટ જોડીને સુઝલ પ્રજાપતિએ દાવો કર્યો હતો કે તેમને 21મી મે, 2026ના રોજ મ્યુનિસિપલ કમિશનર તરફથી એક WhatsApp મેસેજ આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર: “વોર્ડ નંબર-7, ચંદ્રશેખર બ્રિજની બાજુમાં આવેલા સીટી સર્વે નંબરમાં 40 ફૂટનો ટીપી રોડ મંજૂર થયેલો છે, જેનો મોટાભાગનો હિસ્સો ખુલ્લો છે. પરંતુ તેના આગળના ભાગમાં દબાણ થયેલું છે, જે દબાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવે છે.”
સુઝલ પ્રજાપતિ: “જી સર.”
શું છે સમગ્ર મામલો?
સુઝલ પ્રજાપતિએ કોર્ટ સમક્ષ ડિજિટલ પુરાવા તરીકે એક WhatsApp ચેટ રજૂ કરી છે, જે 21મી મે, 2026ના રોજ મ્યુનિસિપલ કમિશનર સાથે થઈ હતી. આ ચેટમાં મ્યુનિસિપલ કમિશનરે કથિત રીતે સૂચના આપી હતી. વોર્ડ નંબર-7, ચંદ્રશેખર બ્રિજની બાજુમાં આવેલા સીટી સર્વે નંબરમાં 40 ફૂટનો ટીપી રોડ મંજૂર થયેલો છે, જેનો મોટાભાગનો હિસ્સો ખુલ્લો છે. પરંતુ તેના આગળના ભાગમાં દબાણ થયેલું છે, જે દબાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવે છે. આ આદેશના જવાબમાં એન્જિનિયર સુઝલે “જી સર” કહીને પોતાની તૈયારી દર્શાવી હતી, જે તેમના દાવા મુજબ સાબિત કરે છે કે તેઓ માત્ર ઉપરી અધિકારીની સૂચનાનું પાલન કરી રહ્યા હતા.
તપાસ સમિતિ પર પણ ગંભીર આક્ષેપ
સુઝલ પ્રજાપતિએ હાઇકોર્ટમાં કરેલી રજૂઆતમાં આરોપ લગાવ્યો છે કે તેમના વિરુદ્ધ કરવામાં આવેલી આંતરિક તપાસ પૂર્વગ્રહયુક્ત અને એકતરફી હતી. તપાસ સમિતિએ તેમના બચાવની કોઈ પણ દલીલો સાંભળી ન હતી. ઝોનલ ચીફે પણ સ્વીકાર્યું હતું કે આ કાર્યવાહી સેન્ટ્રલ ઝોનના હસ્તક હતી, છતાં તેમને જવાબદાર ઠેરવવામાં આવ્યા. આ સમગ્ર વહીવટી પ્રક્રિયામાં તેમનો કોઈ પણ સ્વતંત્ર કે નિર્ણયાત્મક રોલ ન હોવા છતાં તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.
તંત્ર અને કમિશનરનો શું છે પક્ષ?
બીજી તરફ, આ અંગે મ્યુનિસિપલ કમિશનરે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે તેમણે કોઈ વિશેષ આદેશ આપ્યો નથી. કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે આ અંગે જે પણ ખુલાસો કરવાનો હશે, તે હાઇકોર્ટમાં યોગ્ય રીતે રજૂ કરવામાં આવશે. નાસિરનગર ડિમોલિશન કેસે સુરત મહાનગરપાલિકાના આંતરિક વહીવટ અને અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો ખડા કરી દીધા છે. હવે સૌની નજર હાઇકોર્ટના આગામી આદેશ પર ટકેલી છે.