આજકાલના ઝડપી જીવનમાં ઘણા લોકો મોડી રાત્રે જ ભોજન લે છે. કામ, મોબાઈલ અથવા ટીવી જોવું અને પછી જ ખાવું એ સામાન્ય બની ગયું છે. ઘણીવાર લોકો આને નાના મુદ્દા તરીકે અવગણે છે, પરંતુ આ સ્વાસ્થ્ય માટે જોખમભર્યું હોઈ શકે છે. લાંબા સમય સુધી આવી આદત ચાલુ રહે તો શરીરની કાર્યપ્રણાલી ધીમે ધીમે પ્રભાવિત થવા લાગે છે અને અનેક આરોગ્ય સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
શરીરમાં પાચન, ઊંઘ અને ઊર્જા માટે કુદરતી જૈવિક ઘડિયાળ હોય છે. જ્યારે ભોજનનો સમય વારંવાર બદલાય છે અથવા મોડી રાત્રે ખાવામાં આવે છે, ત્યારે આ ઘડિયાળ પ્રભાવિત થાય છે, જે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. વિજ્ઞાન મુજબ આ આંતરિક ઘડિયાળ શરીરના હોર્મોન, ઊંઘ અને પાચન પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.