રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે લાલકૃષ્ણ અડવાણી: VHPનો દાવો

By: nationgujarat
11 Jan, 2024

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમારે કહ્યું છે કે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે. આલોક કુમારના જણાવ્યા અનુસાર, લાલકૃષ્ણ અડવાણી તેમની વધતી જતી ઉંમરને કારણે તમામ કાર્યક્રમોમાં હાજરી આપી શકતા નથી, પરંતુ તેઓ 22મીએ યોજાનાર કાર્યક્રમમાં ચોક્કસ હાજરી આપશે. આલોક કુમારે કહ્યું ks, “અમે ખુશ છીએ કે 96 વર્ષની ઉંમરે અને તબિયત સારી ન હોવા છતાં, તેમણે આમંત્રણ સ્વીકાર્યું છે.”

રામવિલાસ વેદાંતીએ સીએમ યોગીને વિનંતી કરી હતી

આ અગાઉ, ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને રામ મંદિર આંદોલનમાં સહભાગી, રામ વિલાસ વેદાંતીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને અભિષેક સમારોહ માટે લાલ કૃષ્ણ અડવાણીને અયોધ્યા લાવવાની વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. રામવિલાસ વેદાંતીએ કહ્યું હતું કે, “લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિર આંદોલનમાં મોટું યોગદાન આપ્યું હતું. તેમણે રામ લલ્લાને પોતાની આંખે પ્રાણ પ્રતિષ્ઠા જોવી જોઈએ. તેથી તેમને ગર્ભગૃહ સુધી લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ.”

ચંપત રાયે શું કહ્યું?

આ અગાઉ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે માહિતી આપી હતી કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી વય સંબંધિત સમસ્યાઓના કારણે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. ચંપત રાયે આ બંને નેતાઓ વિશે કહ્યું હતું કે તેઓ પરિવારના વડીલ છે, તેમની તબિયતને ધ્યાનમાં રાખીને તેમને અહીં ન આવવા વિનંતી કરવામાં આવી હતી, જે તેમણે સ્વીકારી લીધી હતી.

1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યા આવશે

અયોધ્યામાં 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અમૃત મહોત્સવ ઉજવાશે. 22 જાન્યુઆરીના રોજ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં એક લાખથી વધુ ભક્તો આવવાની અપેક્ષા છે. આ કાર્યક્રમ માટે અનેક રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ, ખેલૈયાઓ અને સેલિબ્રિટીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે.


Related Posts

Load more