રાજ્યમાં આજે હાર્ટ એટેકથી ત્રણ યુવાનોના થયા મોત, રાજકોટમાં સગીરને આવ્યો એટેક

By: nationgujarat
02 May, 2024

Death Due To Heart Attack: રાજ્યમાં આજે હાર્ટ એટેકથી ત્રણ યુવાઓના મોત થયા છે. રાજકોટમાં બે યુવકોના મોત થયા છે તો નવસારીમાં એક યુવકે હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે.

રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં બે યુવકોનો હાર્ટ એટેકથી મોત થયા છે જેમાં એક સગીર યુવક હતો. હર્ષિલ ગોરી નામના 17 વર્ષીય સગીરનું મોત હાર્ટ એટેકથી મોત થયું છે. જ્યારે હનુમાન મઢી ચોક વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મુકેશભાઈ ફોરિયાતરનુ મોત પણ હૃદયરોગના હુમલાથી થયું છે.

તો બીજી બાજુ નવસીરમાં પણ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. બાઇક ઉપર પસાર થતો હતો ત્યારે એટેક આવતા ઘટના બની હતી. નવસારી શહેરમાં HDFC બેન્કમાં ફિલ્ડ વર્ક કરતો 34 વર્ષીય યુવાન નરેન્દ્ર કુમાર દિનેશભાઈ ઋષિનું હૃદય રોગના હુમલાથી મોત થયું છે. હ્રદયરોગનો હુમલો આવતા રોડ પર ઢળી પડતાં સ્થાનિકો દ્વારા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યો હતો. ગ્રામ્ય પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. યુવાનના મૃતદેહ માંથી જરૂરી વિશેરા સેમ્પલ લઈને મોતના સચોટ કારણને લઈને તપાસ હાથ ધરી છે. નવસારી જિલ્લામાં યુવાનોને હૃદય રોગનાં હુમલાની 4 મહિનામાં 6 કરુણ ઘટના બની છે.

યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે. એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચમાં પ્રકાશિત અહેવાલ દર્શાવે છે કે 2015 સુધી ભારતમાં લગભગ 6.5 કરોડ લોકો હૃદયની બીમારીથી પીડિત હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી લગભગ 2.5 કરોડ લોકો 40 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે. WHOનો તાજેતરનો રિપોર્ટ પણ ભારતીયોને ડરાવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં 75%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ 2019માં જ સમગ્ર વિશ્વમાં લગભગ 1.80 કરોડ લોકો હૃદયની બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે. આમાંથી 85 ટકા મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક છે.

હાર્ટ એટેક શું છે

હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને ‘મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન’ કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.

યુવાનોના હૃદય આટલા નબળા કેમ થઈ રહ્યા છે?

આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે જીમમાં વર્કઆઉટ અથવા ડાન્સ કરતી વખતે યુવાનોને હાર્ટ એટેક આવે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડીહાઈડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે.


Related Posts

Load more