રણતુંગાના વિવાદિત નિવેદન પર શ્રીલંકા સરકાર ઝુકી, BCCI સેક્રેટરી જય શાહની માફી માંગી

By: nationgujarat
17 Nov, 2023

વિશ્વકપ 2023માં શ્રીલંકન ક્રિકેટ ટીમનુ પ્રદર્શન કંગાળ રહ્યુ હતુ. શ્રીલંકાની ટીમના ખરાબ પ્રદર્શન બાદ પૂર્વ કેપ્ટન અર્જૂન રંગતુંગાએ ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ પર વિવાદીત નિવેદન કર્યુ હતુ. આ સાથે જ ક્રિકેટ જગત સહિત વિવાદની ચર્ચા શરુ થઈ હતી. જોકે શ્રીલંકન સરકારે હવે આ મામલે જય શાહની માફી માંગી લીધી છે.

શુક્રવારે શ્રીલંકાની સંસદમાં પ્રધાન હરિન ફર્નાન્ડો અને કંચના વિજેસેરાએ વિવાદીત નિવેદનને લઈ ખેદ વ્યક્ત કર્યો હતો. પ્રધાને સાથે જ કહ્યુ હતુ કે, આ મામલામાં કોઈ અન્ય દેશનો નહીં પરંતુ શ્રીલંકન પ્રશાસકોનો જ દોષ છે.

શું કહ્યુ શ્રીલંકા સરકારે, જાણો

સંસદમાં શ્રીલંકાના પ્રધાને કંચના વિજેસેકરાએ કહ્યુ હતુ કે, અમે એક સરકારના રુપમાં એશિયાઈ ક્રિકેટ પરિષદના પ્રમુખ જય શાહના અંગે અમારો ખેદ વ્યક્ત કરીએ છીએ. અમે અમારી સંસ્થાની કમીઓ માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તે અન્ય દેશ પર આંગળી ઉઠાવી શકીએ નહીં. આ એક ખોટી ધારણા છે.

શ્રીલંકન સરકારના પ્રવાસન પ્રધાન હરિન ફર્નાન્ડોએ પણ કહ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ શ્રીલંકા ક્રિકેટ પર લગાવેલા પ્રતિબંધ અંગે પણ ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહનો સંપર્ક કર્યો છે. આઈસીસીએ હાલમાં જ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પર પ્રતિબંધ લગાવ્યો છે.

આગળ કહ્યુ હતુ કે, આંતરરાષ્ટ્રિય ક્રિકેટ કાઉન્સિલે શ્રીલંક ક્રિકેટ બોર્ડ પર લગાવેલ પ્રતિબંધ શ્રીલંકા માટે ઠીક નથી. આ પ્રતિબંધને કારણે આગામી જાન્યુઆરીમાં રમાનાર અંડર-19 ક્રિકેટ વિશ્વકપને પણ પ્રભાવિત કરશે. પ્રતિબંધ હટશે નહીં તો, ટૂર્નામેન્ટ માટે કોઈ શ્રીલંકાનો પ્રવાસ નહીં ખેડે. શ્રીલંકા ક્રિકેટ ટૂર્નામેન્ટ વડે એક પૈસો પણ કમાણી કરી શકશે. આમ શ્રીલંકન ક્રિકેટને થનારી અસર સહિત શ્રીલંકાને થનારી અસર અંગે ગંભીરતા વ્યક્ત કરી હતી.

રણતુંગાએ કર્યા હતા આક્ષેપ

એક તરફ વિશ્વકપમાં શ્રીલંકન ક્રિકેટ ટીમનુ પ્રદર્શન ખરાબ રહ્યુ છે, બીજી તરફ બોર્ડ પર પ્રતિબંધ લાગ્યો છે.આ દરમિયાન શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગાએ વિવાદીત નિવેદન કરતા શ્રીલંકન ક્રિકેટને બરબાદ કરવા માટેનો આરોપ લગાવ્યો હતો. શ્રીલંકા ક્રિકેટના અધિકારીઓ અને જય શાહ વચ્ચે સંબંધો છે અને જેને લઈ બીસીસીઆઈ એ ધારણામાં છે કે, શ્રીલંકા ક્રિકેટની બાબતો પર તે નિયંત્રણ રાખી શકે છે અને ખતમ કરી શકે છે. જય શાહ શ્રીલંકા ક્રિકેટને ચલાવી રહ્યા છે. તેમના દબાણમાં જ શ્રીલંકા ક્રિકેટ બરબાદ થઈ રહ્યુ છે.


Related Posts

Load more