ભારતમાં સિંગાપોર 90 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે

By: nationgujarat
05 Sep, 2024

સિંગાપોર તા.5
વડાપ્રધાન મોદીના સિંગાપોરમાં પ્રવાસ દરમ્યાન ત્યાંની કંપનીઓ ભારતમાં રોકાણમાં ખાસ્સો રસ દાખવી રહી છે. સિંગાપોરની કેપીટલ લેન્ડ ઈન્વેસ્ટમેન્ટ કંપની (સીએલઆઈ)એ બુધવારે જાહેરાત કરી હતી કે તે આગામી ચાર વર્ષમાં ભારતમાં રોકાણની રકમ બે ગણી કરશે. કંપની વર્ષ 2028 સુધીમાં ભારતમાં 11.32 અબજ ડોલર (90 હજાર કરોડ રૂપિયાથી વધુ) રોકાણ કરશે.

કંપનીએ જણાવ્યું હતુંકે ભારતમાં આ રોકાણ રીન્યુએબલ એનર્જી અને રિયલ એસ્ટેટ સેકટરમાં કરવામાં આવશે સમુહના સીઈઓ લી સ ક્રુન કહ્યું-ભારત અમારા માટે એક રણનીતિક બજાર છે અને સીએલઆઈના સમગ્ર વ્યવસાયમાં ભારતનું મોટુ યોગદાન છે.

મોદીએ પહેલા કાર્યકાળમાં સિંગાપોરની યાત્રા કરી હતી અને હવે તે બીજી વાર ત્યાં પહોંચ્યા છે. પ્રવાસી ભારતીય અને નેશનલ યુનિવર્સીટી ઓફ સિંગાપોરનાં છાત્ર અંકીતે કહ્યું હતું કે મોદીના કારણે દુનિયામાં ભારતની મજબુત છબી બની છે.

ઉલ્લેખનીય છે કે સીધુ વિદેશી રોકાણ કરનારામાં સૌથી મોટો દેશ સિંગાપોર છે. વર્ષ 2023-24 માં સિંગાપોરથી ભારતમાં 11.77 અબજ ડોલરનું સીધુ રોકાણ થયુ છે.


Related Posts

Load more