ભાજપ નેતાએ હપ્તાખોરીની ચરમસીમા વટાવી… પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ વડાપ્રધાન મોદીને પત્ર લખતા ખળભળાટ

By: nationgujarat
17 Sep, 2024

રાજ્યના પૂર્વ મંત્રી અને એક સમયના કોંગ્રેસના પીઢ નેતા જવાહર ચાવડાએ ફરી એકવાર કિરીટ પટેલ વિરુદ્ધ ફરિયાદો કરતા ભાજપના આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયા છે. ખાસ કરીને લોકસભા ચૂંટણી બાદ સાંસદ અને મંત્રી મનસુખ માંડવિયાને લઈને થયેલા વિવાદ બાદ તેમણે ફરી સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભાજપના જ નેતા કિરીટ પટેલ વિરુદ્ધ રજૂઆતો કરી છે.

આ પત્રમાં જવાહર ચાવડાએ લખ્યું છે કે ‘સત્યનો હંમેશા વિજય થાય છે આ કથા છે જૂનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની છે., આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યક્તિ એક હોદ્દો, ત્રણ વર્ષનો કાર્યકાળ વગેરે) આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે, પરંતુ જૂનાગઢ તેમાં અપવાદ છે.

જવાહર ચાવડાએ લખ્યું છે કે ‘જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી અને તેનો દુરુપયોગ કરીને બીજા સ્થાન પ્રાપ્ત કર્યા છે. એક જ સાથે ત્રણ હોદ્દા પણ ભોગવે છે, 1. જિલ્લા પ્રમુખ 2. બેન્કમાં પ્રમુખ ૩. માર્કેટિંગ યાર્ડમાં પણ પ્રમુખ (સત્તાના દુરુપયોગનું આવું ઉદાહરણ આખા ગુજરાતમાં નહીં જોવા મળે). બે જિલ્લાના ત્રણ તાલુકાના યાર્ડમાં પ્રમુખપદ ભોગવ્યું, 1. તાલાલા 2. વિસાવદર અને 3. જૂનાગઢ. કદાચ ભારતમાં પહેલીવાર આટલું લોલંલોલ ચાલ્યું હશે અને પ્રમુખપદની મ્યુચ્યુઅલલ ટ્રાન્સફર પણ કરી. (આ અસંભવ છે પરંતુ સત્તાના દુરુપયોગ પર હથોટી હોય અને ચઢી બેસવાની વૃતિ હોય તો જ આ બને

આ પત્રમાં તેમણે કેટલાક ગંભીર આક્ષેપ પણ કર્યા છે. તેમણે લખ્યું છે કે, ‘આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ટા છે. કેટલાક તો એકસાથે ભોગવ્યા જેથી વિવિધ વિભાગો અને સ્થાનોમાં વસૂલી કે હપ્તાખોરી કરીને ચરમસીમા વટાવી છે. આ અંગે મેં અને અન્ય આગેવાનો 1.  કનુભાઈ ભાલાળા 2. ઠાકરશીભાઈ જાવિયા 3. માધાભાઈ બોરીચા વગેરેએ વખતો વખત ફરિયાદ કરી હોવા છતાં પણ આપના સમક્ષ આ વાત પહોંચી નથી, ક્યાંક કોઇ રહેમ નજર હેઠળ દબાઇ જાય છે. આ પત્ર જાહેર એટલે કરવો પડે છે કે આપ સુધી આ વાત પહોંચે કારણ કે આ માણસની ગુનાઇત બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને પણ નીચું જોવું પડે એવા કૃત્યો કર્યા છે. આમ તો આ લિસ્ટ લાંબુ છે પરંતુ બે અક્ષમ્ય કૃત્યો જેનાથી સમગ્ર જૂનાગઢની પ્રજામાં નારાજગી અને રોષ છે.’

છેલ્લે તેમણે લખ્યું છે કે, ‘અમારી સમસ્યા અને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જ આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે ક્યાં મોઢે જવું? પ્રજાનો સામનો કેમ કરવો?’ આ પત્ર સાથે તેમણે અગાઉ કરેલી રજૂઆતની પાંચ ફરિયાદ પણ જોડી છે.


Related Posts

Load more