અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરાના ફાજલપુર ગામ નજીક આજે એક રુંવાડા ઉભા કરી દે તેવો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ટ્રકચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા સાસુ-જમાઈના મોત નિપજ્યા હતા. દંપતી દીકરીની સગાઈ માટે છોકરો જોવા જઈ રહ્યા હતા ત્યારે આ કરુણ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોના શરીરના અંગો છિન્નભિન્ન થઈ હાઈવે પર વિખરાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જ્યારે ઘટનાસ્થળે હાજર એક મહિલાના હૈયાફાટ રુદન અને ‘આમને ઉઠાવો, નહીંતર મરી જશે’ તેવા આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. નંદેસરી પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રકે બાઇકને પાછળથી ભયંકર ટક્કર મારતા અકસ્માત સર્જાયો અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર ફાજલપુર ગામ પાસેથી એક બાઈક પર 3 લોકો પસાર થઈ રહ્યા હતા. આ સમયે ટ્રકે બાઇકને પાછળથી ભયંકર ટક્કર મારી હતી. જેના પગલે બાઈક સવાર બે લોકોના શરીરના અંગો છિન્નભિન્ન થઈ ગયા હતા અને હાઈવે પર માંસના લોચા પડેલા જોવા મળ્યા હતા. જ્યારે એક વ્યક્તિના પગ પણ તૂટી ગયા હતા.
દીકરીની સગાઈ માટે છોકરો જોવા જતા હતા ને અકસ્માત નડ્યો દંપતી ઉમેદભાઈ અને સુધાબેન તેમની દીકરીની સગાઈ માટે છોકરો જોવા રાયકા ગામ ખાતે બાઇક જવા નિકળ્યા હતા. ઉમેદભાઈ તેમના પત્ની અને સાસુ સાથે રાયકા ગામ જઈ રહ્યા હતા. ત્યારે ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી હતી. જેથી સાસુ મધુબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જેથી તેમના મૃતદેહને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉમેશભાઈને સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બંનેના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરીને પરિવારને સોંપવામાં આવ્યા છે. જ્યારે સુધાબેનને સારવા માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યાં તમે સારવાર ચાલી રહી છે. ઉમેદભાઈ અને સુધાબેનને કુલ ચાર સંતાનો છે. જેમાંત્રણ દીકરી અને એક દીકરો છે.
મૃતકના નામ ઉમેદભાઈ કનુભાઈ પરમાર (મૃતક): (ઉંમર 46 વર્ષ, મહાદેવ મંદિર પાસે, તા. જી. આણંદ)
મધુબેન ધુરાભાઈ ગામીત (મૃતક): રહે. કાછલાપુરા, વાસદ, જી. આણંદ) (ઉમેદભાઈના સાસુ)
ઇજાગ્રસ્તનું નામ સુધાબેન ઉમેદભાઈ પરમાર રહેવાસી: રાજુપુરા ગામ, મહાદેવ મંદિર પાસે, તા. જી. આણંદ) હાલ આણંદની ‘સ્મિત હોસ્પિટલ’માં સારવાર હેઠળ છે
ઘટનાસ્થળે એક મહિલા તીવ્ર આક્રંદ કરતી જોવા મળી અકસ્માતને પગલે હાઈવે પર ટોળેટોળા લોકો એકત્ર થઈ ગયા હતા. જ્યારે ત્યાં હાજર એક મહિલા પોક મુકીને રડી રહી હતી અને તેમના હાથમાં રોડ પર એક મૃતદેહ હતો અને લોકોને મદદ માટે પોકારી રહી હતી કે, આમને કોઈ ઉઠાવો નહીં તો મરી જશે. તે દરમિયાન સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને નંદેસરી પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે નંદેસરી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી.