કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z…

By: Nation Gujarat Team
30 May, 2026

Cockroach Janata Party: કોકરોચ જનતા પાર્ટીને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. RSS નેતા સુનીલ આંબેકરે જણાવ્યું છે કે ભારતીય લોકશાહીમાં તમામ અવાજો અને લાગણીઓને સમાવવાની ક્ષમતા છે અને Gen-Z ને દેશ પર પૂરો ભરોસો છે. તમને જણાવી દઈએ કે ‘જેન-Z’ એવા યુવાનો છે જેમનો જન્મ 1997 થી 2012 ની વચ્ચે થયો છે.

RSS ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ આંબેકરે નાગપુરમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ભારત લોકતાંત્રિક પ્રક્રિયાઓનું પાલન કરે છે, પારદર્શક ચૂંટણીઓ કરાવે છે અને સોશિયલ મીડિયા સહિત અહીં મુક્ત મીડિયા છે. તેઓ કોકરોચ જનતા પાર્ટીને લઈને પૂછવામાં આવેલા એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. તેમણે કહ્યું, ‘તેથી મને લાગે છે કે લોકશાહીમાં કોઈપણ પ્રકારની ચર્ચા અને લોકો દ્વારા રજૂ કરવામાં આવતા અને વ્યક્ત કરવામાં આવતા વિવિધ વિચારોને આશ્ચર્ય તરીકે ન જોવા જોઈએ. તેમને સામાન્ય પ્રક્રિયાનો એક ભાગ માનવો જોઈએ. મારું માનવું છે કે મીડિયા તેમને સંભાળવા માટે પૂરતું સ્વતંત્ર છે. રાજકીય પક્ષો પણ અસ્તિત્વમાં છે અને સક્ષમ છે. આપણી કોઈપણ સંસ્થા નબળી નથી.’

ભારતની લોકશાહી પર RSS ને પૂરો ભરોસો: આંબેકર

આંબેકરે કહ્યું, ‘આપણી જનતાની શક્તિ અને આપણી લોકશાહી મજબૂત છે. મારું માનવું છે કે આપણી લોકશાહીમાં દરેકના અવાજ અને લાગણીઓને સામેલ કરવાની ક્ષમતા છે અને લોકોએ તેના પર ભરોસો રાખવો જોઈએ. RSS ને આના પર સંપૂર્ણ વિશ્વાસ છે.’

તેમણે ઉમેર્યું કે ભારતના યુવાનો અથવા ‘જેન-Z’ ખૂબ જ આશાવાદી છે અને દેશ પર તેમનો અતૂટ વિશ્વાસ છે તથા તેઓ બંધારણીય માળખાની અંદર રહીને કામ કરે છે. આંબેકરે કહ્યું, ‘લોકશાહીમાં વિવિધ મુદ્દાઓ ઉઠે છે અને તેને ઉકેલવાની લોકતાંત્રિક રીતો પણ હોય છે.’

પાકિસ્તાન સાથે વાતચીત પર શું બોલ્યા?

RSS ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાળેના પાકિસ્તાન સાથે વાતચીત કરવાના મુદ્દે આંબેકરે જણાવ્યું કે, સંઘ હંમેશાથી માનતો આવ્યો છે કે લોકો વચ્ચેની વાતચીતથી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. તેમણે કહ્યું કે સરકારી સ્તરે વાટાઘાટો કરવી એ એક રાજકીય અને રાજદ્વારી (ડિપ્લોમેટિક) નિર્ણય છે.

આંબેકરે કહ્યું, ‘એ વાત સાચી છે કે જ્યારે સત્તાવાર ચેનલો દ્વારા વસ્તુઓ આગળ વધી રહી નથી, ત્યારે તેમણે  કહ્યું છે કે બંને દેશોના લોકો વચ્ચે જે સંવાદ અત્યારે થઈ રહ્યો છે, તે ચાલુ રહેવો જોઈએ. કેટલાક મુદ્દાઓ હજુ પણ ઉઠે છે અને વેપાર અત્યારે પણ ચાલુ છે, તેને જાળવી રાખવો જોઈએ જેથી સંબંધો મજબૂત રહે અને ધીમે-ધીમે કેટલીક બાબતો ઉકેલાઈ જશે.’ તેમણે વધુમાં જણાવ્યું કે RSS હંમેશાથી ભારતના ભાગલાનો વિરોધી રહ્યો છે અને જો તે સમયે સંગઠન મજબૂત હોત તો ભાગલા ક્યારેય ન થયા હોત.


Related Posts

Load more