બોગસ એલસી અંગે રોહિત ચૌધરીએ જણાવ્યું કે, ‘જ્યારે અમે પૂરેપૂરી ચકાસણી કરી ત્યારે માલૂમ પડ્યું કે આ જીઆર નંબર અને એલસી નંબર પર શાળાના રજિસ્ટરમાં ખરેખર અન્ય વ્યક્તિઓના નામ નોંધાયેલા છે. તે સમયે કલ્પનાબેન આ શાળામાં અભ્યાસ કરતા હોવાના કોઈ જ પુરાવા મળ્યા નથી અને શાળા સંચાલકે પણ રિપોર્ટ આપ્યો છે કે કોઈએ તેની શાળાનું બોગસ એલસી બનાવી તેમાં ખોટી સહીઓ કરી છે. કલ્પનાબેન હાલમાં કોંગ્રેસ પક્ષના કુબેરનગર વોર્ડના વિજેતા ઉમેદવાર હોવાથી આ બાબતની ઊંડાણપૂર્વક ચકાસણી કરવી જરૂરી હતી, તેથી મેં સદર શાળાના આચાર્ય અને સંચાલકને તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે કડક સૂચના આપી દીધી છે.’
પોલીસ કાર્યવાહીને લઈને રોહિત ચૌધરીએ જણાવ્યું કે, ‘તેમણે આ બોગસ એલસીનો ઉપયોગ માત્ર ચૂંટણી માટે જ કર્યો છે કે અન્ય કોઈ જગ્યાએ પણ તેના લાભ લીધા છે, તે હવે પોલીસ તપાસનો વિષય છે. અમારી પાસે જે કોપી આવી હતી, તેની ખરાઈ કરવાનું જ અમારું કામ હતું, જેમાં તપાસ કરતા આ એલસી ખોટું સાબિત થયું છે અને આ જીઆર નંબરથી તેઓ કોઈ પણ રીતે શાળામાં દાખલ થયેલા નથી. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ દ્વારા જે તપાસ કાર્યવાહી થશે, તેમાં જ વધુ વિગતો માલૂમ પડશે કે આમાં આગળ શું કાર્યવાહી થઈ શકે છે.’