શું ફરી રાજ્ય પર વાવાઝોડા સાથે માવઠાનું સંકટ?

By: nationgujarat
21 Nov, 2025

Weather Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાશે. જે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. તેના કારણે વાવાઝોડા આવી શકે છે. જ્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ આગળ વધીને સોમાલિયામાં જતી રહે તેવી શક્યતા જોવાઇ રહી છે. જેના કારણે આ સિસ્ટમની અસર ગુજરાત પર નહિ થાય. જો કે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 25 નવેમ્બર બાદ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટછવાયો વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કઇ દિશામાં કેટલી મજબૂતાઇ આગળ વધે તેના પર વાવાઝોડાનો આધાર રહેલો છે.

બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ રચાઈ રહી છે. એવો અંદાજ છે કે, 21 નવેમ્બરના અંતમાં અથવા 22 નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્ર પર એક નીચા દબાણનો વિસ્તાર વિકસી શકે છે. સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ, આ સિસ્ટમ રચના પછી સતત મજબૂત બનશે. તે પહેલા ઊંડા ડિપ્રેશનમાં ફેરવાશે અને પછી ઝડપથી ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. અહેવાલમાં જણાવાયું છે કે, વાવાઝોડામાં ફેરવાયા પછી, તે પૂર્વ કિનારા તરફ આગળ વધી શકે છે. તેની સૌથી મોટી અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં અનુભવાઈ શકે છે.

ઠંડીની વાત કરીએ તો હવામાન અંગેની આગાહી આપતા તેમણે જણાવ્યુ છે કે, લઘુત્તમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી °C નો વધારો થઈ શકે છે. ત્યારબાદ આ પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આજે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મુખ્યત્વે સ્વચ્છ આકાશ રહેવાની સંભાવના છે. આજે અહીં લઘુત્તમ તાપમાન 15 °C રહેવાની શક્યતા છે.

સ્કાયમેટ વેધરના મતે, જો વાવાઝોડું રચાય છે, તો તે 27 થી 29 નવેમ્બરની વચ્ચે જમીન પર ટકરાઈ શકે છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે, વાવાઝોડા વિશે ચોક્કસ માહિતી ત્યારે જ મળશે જ્યારે સિસ્ટમ 24 નવેમ્બરની આસપાસ ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનના સ્તરે પહોંચશે. જો તે રચાય છે, તો તે આ સિઝનમાં બંગાળની ખાડીમાં બીજું ચક્રવાતી તોફાન હશે. IMD અનુસાર, 22 નવેમ્બરના રોજ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર એક નીચા દબાણનો વિસ્તાર બનવાની સંભાવના છે, જે 24 નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં તીવ્ર બનવાની ધારણા છે. ત્યાર બાદ ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે.

ચક્રવાત મોન્થાએ તબાહી મચાવી હતી

પહેલાં, તીવ્ર ચક્રવાતી તોફાન મોન્થા લેન્ડફોલ થયું હતું. સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ, આંદામાન સમુદ્ર અને ઉત્તર બંગાળની ખાડીમાં બનતા તોફાનો ઘણીવાર ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધે છે. જો કે, હાલમાં જે સિસ્ટમ બની રહી છે તે વિષુવવૃત્તની ખૂબ નજીક છે, જેના કારણે તે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ વળે તેવી શક્યતા વધુ છે.

ચક્રવાત ‘સેન્યાર’નો ભય છે

સ્કાયમેટ વેધરના મતે, જો કોઈ વાવાઝોડું વિકસે છે, તો તેનું નામ સેન્યાર રાખવામાં આવશે. આ નામ સંયુક્ત આરબ અમીરાત દ્વારા આપવામાં આવ્યું હતું. બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રની રચના થયા પછી, આ સિસ્ટમ 23 થી 24 નવેમ્બરની વચ્ચે દક્ષિણ-મધ્ય બંગાળની ખાડી પર એક મજબૂત ડિપ્રેશનમાં તીવ્ર બનશે. ત્યારબાદ તે 25 થી 26 નવેમ્બરની વચ્ચે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બની શકે છે. જો કે, હવામાનશાસ્ત્રીઓએ સ્પષ્ટતા કરી છે કે નીચા દબાણવાળા ક્ષેત્ર તોફાનમાં વિકસે છે કે કેમ તે અંગે ચિત્ર હજુ સ્પષ્ટ નથી


Related Posts

Load more