બિહાર ચૂંટણી પૂરી થતાં જ કોંગ્રેસને મોટો ઝટકો, મોટા નેતાએ અચાનક આપી દીધું રાજીનામું

By: nationgujarat
12 Nov, 2025

Bihar Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ કોંગ્રેસ પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ડૉ. શકીલ અહેમદે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. ડૉ. અહેમદે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. પત્રમાં તેમણે પારિવારિક કારણો અને પાર્ટીના કેટલાક નેતાઓ સાથેના મતભેદોને કારણ તરીકે ઉલ્લેખ કર્યા છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ અન્ય રાજકીય પાર્ટીમાં જોડાઈ રહ્યા નથી.

રાજીનામાની પાછળના કારણો

પત્રમાં ડૉ. અહેમદે લખ્યું કે, 16 એપ્રિલ, 2023ના મારા પત્રમાં મેં પહેલેથી જ સ્પષ્ટ કર્યું હતું કે, હું હવે ભવિષ્યમાં ક્યારેય ચૂંટણી લડીશ નહીં. મારા ત્રણેય પુત્રો કેનેડામાં રહે છે અને તેમને રાજકારણમાં જોડાવામાં કોઈ રસ નથી, તેથી તેઓ પણ ચૂંટણી લડશે નહીં.

તેમણે વધુમાં ઉમેર્યું કે, મારા પૂર્વજોની જેમ, મને પણ કોંગ્રેસ પાર્ટીની નીતિઓ અને સિદ્ધાંતોમાં અતૂટ વિશ્વાસ છે. હું જીવનભર કોંગ્રેસના સિદ્ધાંતોનો સમર્થક રહીશ અને મારો છેલ્લો મત પણ કોંગ્રેસ માટે જ રહેશે.

પરિવારની રાજકીય વારસાગાથા

ડૉ. શકીલ અહેમદે પોતાના પત્રમાં તેમના પરિવારના રાજકીય વારસાની ચર્ચા પણ કરી. તેમણે જણાવ્યું કે, તેમના દાદા અહેમદ ગફુર 1937માં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, જ્યારે તેમના પિતા શકુર અહેમદ 1952થી 1977 દરમિયાન કોંગ્રેસની ટિકિટ પર પાંચ વખત ધારાસભ્ય રહ્યા હતા. ડૉ. અહેમદે જણાવ્યું કે સ્વાસ્થ્યના કારણોસર તેઓ આ વખતે ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ શક્યા નહોતા, પરંતુ તેમને આશા છે કે કોંગ્રેસ આ ચૂંટણીમાં વધુ બેઠકો જીતશે અને ગઠબંધન મજબૂત સરકાર બનાવશે.


Related Posts

Load more