સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના નેતાઓ સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા તેજ બની છે. આ મુદ્દે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે શિસ્ત સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ અંગે ફરિયાદો સામે આવેલા નેતાઓ તેમજ ફરિયાદ કરનાર પક્ષકારોને કમલમ ખાતે બોલાવી તેમની રજૂઆતો સાંભળવામાં આવી હતી. શિસ્ત સમિતિએ બંને પક્ષની દલીલો અને ઉપલબ્ધ માહિતીના આધારે સમગ્ર મામલે વિગતવાર ચર્ચા કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષ વિરોધી કામગીરીમાં સંડોવાયેલા વ્યક્તિઓ અંગે શિસ્ત સમિતિ દ્વારા વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટ ભાજપના પ્રદેશ પ્રમુખને સોંપવામાં આવશે, જેના આધારે સંબંધિત નેતાઓ સામે યોગ્ય શિસ્તાત્મક કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.
ભાજપના સૂત્રોનું કહેવું છે કે પક્ષની શિસ્ત અને સંગઠનની એકતા જાળવવા માટે પક્ષ વિરોધી પ્રવૃત્તિને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. શિસ્ત સમિતિના અહેવાલ બાદ જે નેતાઓ સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિના આરોપો પ્રમાણિત થશે, તેમની સામે પક્ષના નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.