સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવગુરુ’ તરીકે જાણીતા બનેલા અને વાવ-થરાદના સુઈગામના વતની ચંદન રાઠોડનું 17 સપ્ટેમ્બરે ભાભર નજીક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ત્યાર બાદ આજે તેમનું બેસણું યોજાયું હતું. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, વાવના ધારાસભ્ય સ્વરૂપજ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહીને શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી. સુઈગામ સ્થિતરાધે કૃષ્ણ મંદિરની બાજુમાં આવેલી બ્રાહ્મણવાસ શાળામાં શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મૃતકના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી.પોતાના સાથીદાર ચંદનને શ્રદ્ધાંજલિ આપવા માટે ગબ્બર ઠાકોર સહિત અનેક સોશિયલ મિડિયા ઇન્ફ્લુએન્સર શોક સંતપ્ત પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી
ચંદન રાઠોડે પોતાની આગવી કોમેડી, રમુજી અંદાજ અને ઉત્તર ગુજરાતની સ્થાનિક બોલીની શૈલીથી ડિજિટલ દુનિયામાં એક આગવી ઓળખ ઊભી કરી હતી. ‘ગુજ્જુ લવગુરુ’ના પાત્ર દ્વારા તેમણે લાખો લોકોનું મનોરંજન કર્યું હતું. તેમના આ પ્રકારે અચાનક વિદાય લેવાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
17 સપ્ટેમ્બરે કોમેડિયન અને જાણીતા યુટ્યુબર ગુજ્જુ લવ ગુરુ ઉર્ફ ચંદન રાઠોડનું આકસ્મિક મોત થયું હતું. અકસ્માતને લઈને લોકોમાં જાતજાતની ચર્ચાઓ ચાલી રહી છે.કેટલાક લોકો શંકા સેવી રહ્યા છે. કેમ કે સામે આવેલા એક વીડિયોમાં બાઈકથી ડેડબોડી 25 ફૂટ દૂર હોવાનું કહેવાઈ રહ્યું છે. સામે બાઈકચાલકને સાથળના ભાગે ઈજા થઈ હતી. મૃતકના પરિવારજનો તરફથી આજે 19મી સપ્ટેમ્બરે FIR નોંધાવવામાં આવી છે.