દિલ્હીના જંતર-મંતર પર NEET પ્રવેશ પરીક્ષામાં થયેલી કથિત ગડબડીઓ અને પેપર લીકના વિરોધમાં વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. પ્રદર્શનને કાબૂમાં લેવા માટે સરકારે પાટનગરમાં કેટલાક કડક નિયંત્રણો લાદ્યા છે, જેમાં દિલ્હીના 18 મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યા છે. આ મુદ્દે લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.
રાહુલ ગાંધીએ સરકારની નીતિઓની સખત શબ્દોમાં ટીકા કરતા સોશિયલ મીડિયા પર સરકારના આ નિર્ણય સામે ભારે આક્રોશ ઠાલવ્યો છે.
દિલ્હીમાં લાદવામાં આવેલા પ્રતિકૂળ નિયંત્રણો પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સામે સવાલોનો મારો ચલાવ્યો હતો.
આ પહેલા શુક્રવારે પણ રાહુલ ગાંધીએ પેપર લીક સામે પ્રદર્શન કરી રહેલા યુવાનોના સમર્થનમાં કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે શાંતિપૂર્ણ રીતે ત્રિરંગો લઈને પ્રદર્શન કરી રહેલા યુવાનો પર સુરક્ષા દળો દ્વારા પેલેટ ગન છોડવામાં આવી હતી.