સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ, 3ને ગંભીર ઈજા

By: Nation Gujarat Team
04 Feb, 2026

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગરની સબ જેલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓએ એકબીજા પર હુમલો કરતા યાકુબ પઠાણ, અજીત મકવાણા અને ચેતનસિંહને ઇજા પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઇજાગ્રસ્ત આરોપીઓ ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય બંદોબસ્તમાં પી.આઇ. સહિતનો સ્ટાફ ગોઠવતા સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગઇ છે. સુરેન્દ્રનગર સબ જેલમાં ૧૨૫ની ક્ષમતા સામે ૩૦૦થી વધુ કેદીઓ હોવાને કારણે અવારનવાર ઘર્ષણ થતું રહે છે.  પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, જેલમાં કડકાઈ વધતા અને મોબાઈલ-માવા જેવી ગેરકાયદે સવલતો બંધ થતા, રીઢા ગુનેગારોએ જેલનું વાતાવરણ બગાડવા અને હોસ્પિટલના બહાને બહાર આવવા માટે આ કાવતરું રચ્યું હોઈ શકે છે. જેલની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા જેલ તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે. જેલનું વાતાવરણ બગાડનારા અને હુમલાખોર કેદીઓનું લિસ્ટ તૈયાર કરી જિલ્લા પોલીસ વડાને સોંપવામાં આવ્યું છે. આ કેદીઓને ટૂંક સમયમાં અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ અથવા અન્ય જેલોમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સીટી પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી હથિયારો ક્યાંથી આવ્યા તે દિશામાં તપાસ તેજ કરી છે.


Related Posts

Load more