તેમણે જણાવ્યું કે, ખાતર વિતરણ મુદ્દે સરકાર દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે પૂરતું ખાતર ઉપલબ્ધ છે, પરંતુ હકીકત એ છે કે આજે પણ ખેડૂતોને ખાતર મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. ઘણી જગ્યાએ સમયસર ખાતર ન મળવાથી વાવણી અને પાક વ્યવસ્થાપન પર સીધી અસર પડી રહી છે. આ સ્થિતિ માત્ર એક જિલ્લાની નથી, પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાં આવી સમસ્યાઓ ખેડૂતો સામે આવી રહી છે.
ખેડૂતોની સમસ્યાઓ સંવાદ દ્વારા ઉકેલવી જોઈએ”
ભારતીય કિસાન સંઘના મહામંત્રીએ જણાવ્યું કે, જ્યારે પણ ખેડૂતોનો અવાજ બનવાનો સમય આવે છે, ત્યારે કિસાન સંઘ હંમેશા ખેડૂતોની સાથે ઊભું રહે છે. સંઘનું માનવું છે કે ખેડૂતોની સમસ્યાઓ સંવાદ દ્વારા ઉકેલવી જોઈએ, પરંતુ જો સંવાદ માટેના પ્રયાસો અવગણવામાં આવે તો ખેડૂતોને એકત્રિત થવું ફરજિયાત બની જાય છે.
12 જાન્યુઆરીના કાર્યક્રમ અંગે માહિતી આપતાં આર.કે. પટેલે જણાવ્યું કે આ દિવસે સમગ્ર રાજ્યમાંથી અંદાજે 1,000થી લઈને 25,000 જેટલા ખેડૂતો ગાંધીનગર પહોંચે તેવી સંભાવના છે. ખેડૂતો ખેતી સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ — ખાતર વિતરણ, ખર્ચમાં વધારો, આવકની અનિશ્ચિતતા અને વહીવટી અડચણો — અંગે પોતાની વાત રજૂ કરશે.