અમદાવાદના ચાંદખેડામાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે બાળકીના શંકાસ્પદ મોત અને ત્યાર બાદ તેના માતા-પિતા એવા વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિની તબિયત ખરાબ થવાની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. ઢોસાનું ખીરું ખાધા બાદ બીમાર પડેલા માતા-પિતાને ખાનગી હોસ્પિટલમા સારવાર ચાલી રહી છે. માતા-પિતાના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. સુત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે બ્લડ સેમ્પલના રિપોર્ટમાં ઉંઘની દવાનું કન્ટેન મળી આવ્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ રિપોર્ટને પગલે હવે પોલીસ દ્વારા આત્મહત્યા કે હત્યાની દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રો મુજબ ઢોંસાના ખીરાના ખાવાના કારણે બે બાળકીઓના મોત અને માતા-પિતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ થાય એ વાત શક્ય નથી. જેને લઈને હવે પોલીસ દ્વારા બ્લડ સેમ્પલના રિપોર્ટના આધારે તપાસ કરી રહી છે.
વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોંસાનુ ખીરૂ લીધુ ત્યારે લઈને તે કેટલા વાગે ઘરે પહોંચે છે. તેના માટે પોલીસે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યાં છે. પોલીસ મિનિટ ટુ મિનિટનું મોનીટરીંગ કરશે. ઢોંસાનું ખીરૂ લઈને વિમલ સીધો ઘરે જ ગયો હતો કે પછી ક્યાંય રોકાયો હતો, તેની ઉંડાણ પુર્વક તપાસ થશે. આ સિવાય ડેરીથી લઈને વિમલના ઘર સુધી જેટલા પણ CCTV કેમેરા છે, તેના તમામ ફુટેજ ચેક કરાશે. પોલીસનું માનવુ છે કે જો ડેરીના ખીરામાં પ્રોબ્લેમ હોય તો અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થવી જોઈએ, પરંતુ તેવું નહી થતા અંતે કંઈક અજુગતુ બન્યુ હોય તેવી પોલીસને શંકા છે.
શું છે સમગ્ર ઘટના?
ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા.(