વડોદરાના 45 ગામ એલર્ટ મોડ પર!મેસરી નદીનો બ્રિજ પાણીમાં ગરકાવ

By: nationgujarat
17 Sep, 2023

ઉપરવાસના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાથી કડાણા જળાશયમાં પાણીની આવક થઇ રહી છે. તેમજ મહી બજાજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તથા અનાસ નદીમાં પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. કડાણાબંધની સુરક્ષા તથા ઉપરવાસમાં મહીબજાજ ડેમમાંથી હાલમાં 4,43,910 ક્યુસેક તથા અનાસમાંથી 4,37,023 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને ધ્યાને લેતા કુલ 8,80,933 ક્યુસેક પાણી ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહ ધ્યાનમાં લેતા હાલમાં કડાણા ડેમમાંથી 7,50,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેને વધારી આજરોજ બપોરના ચાર કલાકે ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાને લેતા કડાણાડેમમાંથી વધુમાં વધુ 10.50 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવનાર છે.

તમામ ગામોના નાગરિકોને સાવધાન રહેવા અપીલ
જેને ધ્યાનમાં લઈ વડોદરા જિલ્લાના મહીકાંઠાના ડેસર તાલુકાના 12, સાવલીના 14, વડોદરા ગ્રામ્યના 9 અને પાદરા તાલુકાના 10 સહિત 45 ગામોને સાબદા કરાયા છે. જિલ્લા કલેકટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને તાલુકા તંત્રના અધિકારીઓ દ્વારા આ તમામ ગામોમાં તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. આ તમામ ગામોના નાગરિકોને સાવધાન રહેવા સાથે નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે.

વકતાપુરા અને દોલતપુરાનો સંપર્ક કપાયો
​​​​​​​
કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે તેના કારણે મહી નદીના કિનારે આવેલા વડોદરા જિલ્લાના ડેસર, સાવલી, વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકાના લોકોને સલામત સ્થળે ખસેડવા પ્રશાસનના અધિકારીઓએ ગામોની મુલાકાત લઈ રહ્યા છે. ડબકાના ભાઠા વિસ્તારમા 30 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.


Related Posts

Load more