ધરતીને ધરાવવાનો દારુ ભૂલથી ઘુંટડો મારી ગયા મંત્રી રાઘવજી પટેલ

By: nationgujarat
09 Aug, 2023

ડેડિયાપાડા ખાતે આદિવાસી દિવસની ઉજવણીના પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના મંત્રીઓ અને સ્થાનિક નેતાઓ હાજર હતા. આ દરમિયાન આદિવાસી પરંપરાથી અજાણ રાઘવજી પટેલ પૂજા વિધિ કરતાં ધરતીને ધરાવવાનો દારુ ભૂલથી ઘુંટડો મારી ગયા હતા. જો કે બાદમાં રાઘવજી પટેલે પણ મીડિયા સમક્ષ આ અંગે જણાવ્યું હતું કે, મને પરંપરાની ખબર ન હતી એટલે આવું થયું.

પુજારીએ પાનમાં દેશી દારુ આપ્યો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલની હાજરીમાં કરવામાં આવી હતી. આ જાહેર કાર્યક્રમમાં આદિવાસી પરંપરા અનુસાર પૂજાવિધિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી દિવસની ઉજવણીની પૂજામાં દેશી દારૂથી ધરતીમાતાને અભિષેક કરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. જેથી ત્યાં હાજર કૃષિમંત્રી સહિતના નેતાઓ અને સ્થાનિક આગેવાનોને પુજારીએ એક પાનમાં દેશી દારુ આપ્યો હતો. આ દારુ ધરતી પર ધરાવવાનો હોય છે. પરંતુ આદિવાસી પરંપરાઓની અજાણ રાઘવજી પટેલને જોવો પાનમાં દારુ આપવામાં આવ્યો કે તેઓએ તેનો ઘૂંટડો મારી લીધો હતો. જ્યારે તેમની બાજુમાં ઉભેલા નેતાઓએ તે દારુ વિધિ અનુસાર જ ધરતી પર ધરાવી દીધો હતો. ત્યારબાદ બાજુમાં ઉભેલા વ્યક્તિએ મંત્રીને કહ્યું હતું કે આ તો ધરતીમાતાને અર્પણ કરવાનું છે ત્યારે મંત્રી રાઘવજી પટેલ ને પોતાની ભૂલ સમજાય હતી.

હું આ વિધિથી અજાણ હતો
આ અંગે રાઘવજી પટેલે મીડિયા સમક્ષ પણ કહ્યું હતું કે, મને અહીંની પરંપરાઓ વિશે વધુ જ્ઞાન નથી. અહીની વિધિઓ અને રિવાજોથી હું અજાણ છું. પહેલી વખત હું અહીંયા આવ્યો છું. અમારે ત્યાં ચરણામૃતરુપે હાથમાં આપતા હોય છે. એટલે મેં ચરણામૃત ચાખ્યું. પરંતુ એ હકીકતમાં ધરતીમાં અર્પણ કરવાનું હતું. મારા ખ્યાલ બહારની આ વાત હતી એટલે આવું થયું.

શા માટે થાય છે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
9 ઓગસ્ટ એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’. વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેની પ્રથમ બેઠક વર્ષ એ જ વર્ષની 9 ઓગષ્ટે મળી હતી. 10 વર્ષ પછી ઇ.સ.1992માં બ્રાઝિલના રિયોડીજાનેરો ખાતે ‘પૃથ્વી પરિષદ’નું આયોજન કરાયુ હતુ. જેમાં 68 જેટલા દેશોના 400 આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી. તેના અનુસંધાને UNOના 11મા અધિવેશનમાં એ વર્ષને ‘વિશ્વ આદિવાસી વર્ષ’ તરીકે જાહેર કર્યું અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રથમ બેઠક 9 ઓગષ્ટે મળી હોવાથી વર્ષ 1993થી દર વર્ષની 9 ઓગષ્ટને ‘વિશ્વ આદિવાસી દિન’ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી.


Related Posts

Load more