Teacher Crisis News: ગાંધીનગર (Gandhinagar): ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યની પ્રાથમિક શાળાઓની કથળેલી સ્થિતિના આંકડા સામે આવતા શિક્ષણ જગત (Gujarat Education) માં ખળભળાટ મચી ગયો છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા (Dhavalsinh Zala) અને અન્ય સભ્યોના પ્રશ્નોના જવાબમાં રાજ્ય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા (Rivaba Jadeja) એ સ્વીકાર્યું છે કે રાજ્યના 10 મહત્વના જિલ્લાઓમાં શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી પડી છે.
સરકારી માહિતી મુજબ, રાજ્યના 10 જિલ્લાઓમાં મુખ્ય વિષયોના શિક્ષકોની ભારે અછત છે. જેમાં ગણિત-વિજ્ઞાન (Maths-Science) ના 377 શિક્ષકો, ભાષા (Language) ના 294 શિક્ષકો અને સામાજિક વિજ્ઞાન (Social Science) ના 405 શિક્ષકોની અછત વર્તાઈ રહી છે. સૌથી ગંભીર સ્થિતિ અમરેલી (Amreli) જિલ્લાની છે, જ્યાં પ્રાથમિક શાળાઓમાં કુલ 760 શિક્ષકોની જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે.
ભાવનગર (Bhavnagar) જિલ્લાની વાત કરીએ તો, અહીં ગણિત-વિજ્ઞાનના 73, ભાષાના 58 અને સામાજિક વિજ્ઞાનના 46 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે.
માત્ર શિક્ષકો જ નહીં, પરંતુ શાળાઓના મકાનોની સ્થિતિ પણ દયનીય છે. જામનગર (Jamnagar) જિલ્લાની 20 શાળાઓમાં ઓરડાઓ જર્જરિત (Dilapidated Rooms) હાલતમાં છે, જ્યારે 5 શાળાઓમાં તો ઓરડાની સુવિધા જ નથી. દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) માં 38 શાળાઓના ઓરડા જર્જરિત છે અને 4 શાળાઓ ઓરડા વગર ચાલી રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ સ્થિતિ સારી નથી; અરવલ્લી (Aravalli) માં 230 અને સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં 163 ઓરડાઓ જર્જરિત હોવાની વિગતો સરકારે જાહેર કરી છે.
શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે સરકાર શિક્ષકોની ભરતીના રેશિયો (Recruitment Ratio) ને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે. હાલમાં જિલ્લા ફેરબદલી (District Transfer) નો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્યમાં નવી ભરતી (New Recruitment) અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સરકાર શિક્ષણના સ્તરને સુધારવા અને માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટે કટિબદ્ધ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.