રાજ્યના વહીવટી વિભાગોમાં મેગા ભરતી, આગામી ૧૦ વર્ષમાં અંદાજે 2 લાખ 6,991 જગ્યાઓ ભરાશે: ઋષિકેશ પટેલ

By: nationgujarat
11 Mar, 2025

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય વહીવટમાં પારદર્શિતા અને સુચારૂ સંચાલન માટે રાજ્ય સરકાર હંમેશાથી કટિબધ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના વહીવટી વિભાગો હસ્તકના તમામ સંવર્ગોની ભરતીના આયેજનના ભાગરૂપે સરકાર દ્વારા વર્ષ-૨૦૨૪ થી ૨૦૩૩ માટે ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર નિયત કરવાની કાર્યવાહી કરવામાં આવી. જે અનુસાર આગામી ૧૦ વર્ષમાં અંદાજે કુલ-૨,૦૬,૯૯૧ જગ્યાઓ ભરવાનું આયોજન હાથ ધરાયું છે.

ગુજરાતમાં વહીવટી સંચાલનમાં રહેલી પારદર્શિતા, જવાબદારી અને સુલભતાને વધુ પ્રોત્સાહન આપવા માટે ગુજરાતનાં નાગરિકો અને રાજ્ય સરકાર વચ્ચે સીધો અને અસરકારક સંવાદ થઇ શકે તે માટે મુખ્યમંત્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતુ. સેવા સેતુ કાર્યક્રમના દશમા તબક્કામાં મળેલ કુલ ૧૭,૬૫,૬૦૪ અરજીઓમાંથી ૧૭,૬૫,૫૯૫(૯૯.૯૯%) અરજીઓનો નિકાલ કરવામાં આવેલી છે.

રાજકોટ પ્રાદેશિક તાલીમ કેન્દ્રના વધુ કાર્યભારણને ધ્યાને લઈ ભાવનગર ખાતે નવું પ્રાદેશિક તાલીમ કેન્દ્રની સ્થાપના કરવા અંગે વર્ષ ૨૦૨૫-૨૬ ના વર્ષે રૂ. ૨.૫૦ કરોડની નવી બાબતની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, લોકાભિમુખ વહીવટ માટે સરકાર દ્વારા સમયાંતરે વહીવટમાં સુધારાઓ કરવામાં આવેલ છે.

હાલના સમયમાં વિકસિત ભારત@૨૦૪૭ના લક્ષ્યને સિધ્ધ કરવા માટે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે. જેના ભાગરૂપે રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારા કરવા, માનવશક્તિનું તર્કસંગીકરણ કરવા, જાહેર સેવાઓને સુદ્રઢ બનાવવા અને નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્ય ક્ષમતામાં વધારો કરવાના હેતુથી ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતુ.

વર્ષ-૨૦૫-૨૬ ની સામાન્ય વહીવટ વિભાગની રૂ.૩૯૯.૮૮ કરોડની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.


Related Posts

Load more