કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ર૦૩ મી જયંતી ઉજવાશે.

By: nationgujarat
12 Nov, 2022

તા. ર૭ – ૧ર – ર૦રર- માગશર સુદ ચોથ – રવિવારના રોજ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો ગ્રંથ જે વચનામૃત તેની ર૦૩ મી જયંતી શ્રી સ્વામિનારાયણ – કુમકુમ – મંદિર – મણિનગર ખાતે ઉજવાશે.

આ પ્રસંગે સવારે ૮ – ૩૦ થી ૧૦ – ૦૦ સુધી વચનામૃત ગ્રંથની પારાયણ કરવામાં આવશે અને સંતો દ્વારા તેનું પૂજન, અર્ચન, આરતી કરવામાં આવશે.

કુમકુમ મંદિરના શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે,આ પ્રસંગે સવિશિષ્ટ વચનામૃતની કૃતિ તૈયાર કરવામાં આવેલ છે.તેનું પૂજન કરવામાં આવશે.

માગશર સુદ- ચોથના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી જે વાણી વહી તેનો અદ્ભૂત ગ્રંથ વચનામૃતને ર૦૩ વર્ષ પૂર્ણ થશે. તેથી સારાય સત્સંગીઓ આ વચનામૃત વાંચે, વિચારે અને પોતાનું જીવન વધુ ઉન્નત બનાવે તે હેતુથી કુમકુમ મંદિર દ્વારા આજના યુગની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. દરેક સત્સંગીને મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના મુખે બોલાયેલ ર૭૩ વચનામૃતનો આ સમગ્ર ગ્રંથ અને તેનો ઓડીયો કુમકુમ મંદિરની એપ ઉપર મૂકવામાં આવશે.જેથી દેશ વિદેશના ભક્તો લાભ લઈ શકશે…

આજથી ર૦૩ વર્ષ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વમુખમાંથી “વચનામૃત” રૂપી વાણી અવતરી. ભાષાકીય સરળ શૈલી, દ્રષ્ટાંતસભર સચોટ શૈલી અને ઉપનિષદિક પ્રશ્નોત્તર શૈલીનું પ્રયાગ એટલે વચનામૃત.

વચનામૃત એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના પરમહંસો તથા હરિભક્તોની આધ્યાત્મિક ગોષ્ઠી.

શ્રી સ્વામિનારાયણ ભગવાન દિવસે કે રાત્રે જ્યારે પણ સભામાં વાતો કરતા તે પાંચ સંતો નોંધી લેતા. તેમાં સ્થળ, તિથિ, સમય, શ્રી હરિનો પહેરવેશ, પ્રશ્નોત્તરમાં સંમેલિત વ્યક્તિઓ વગેરે બાબતોનો ઐતિહાસિક પ્રમાણ સાથેનો આ વચનામૃત અદ્ભૂત ગ્રંથ છે


Related Posts

Load more