IND VS PAK – Champions Trophy માટે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન જશે કે નહી જાણો ?

By: nationgujarat
25 Dec, 2023

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ઘૂંટણિયે લાવવા માટે તખ્તો તૈયાર કર્યો છે.  પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની મળી છે. તેની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે.

તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તેના દુબઇ હેડક્વાર્ટર ખાતે એક બેઠક યોજી હતી. જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની માટે PCB સાથે કરાર પણ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની યજમાનીની પુષ્ટિ થઈ ગઈ છે.

પરંતુ આ દરમિયાન પાકિસ્તાન ફરી એકવાર બીસીસીઆઈથી વિરોધ કરશે. ખરેખર એશિયા કપ 2023ની યજમાની પણ પાકિસ્તાન પાસે હતી. પરંતુ ત્યારપછી બીસીસીઆઈએ પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી, PCBને એશિયા કપ હાઇબ્રિડ મોડલ હેઠળ કરાવવાની ફરજ પડી હતી.

હાઇબ્રિડ મોડલનો અર્થ છે, ભારતની મેચો બીજા દેશમાં (શ્રીલંકા) યોજાવાની હતી. તે સમયે એશિયા કપની 13માંથી માત્ર 4 મેચ પાકિસ્તાનમાં યોજાઈ હતી. જ્યારે ફાઈનલ સહિત 9 મેચ શ્રીલંકામાં યોજાઈ હતી. આ વખતે પણ એવો જ ડર પાકિસ્તાનને સતાવી રહ્યો છે. તેને લાગે છે કે ભારત આ વખતે પણ તેની ટીમ મોકલવાની ના પાડી દેશે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજેતરમાં PCB ચેરમેન ઝકા અશરફ અને અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB)ના વાઇસ ચેરમેન ખાલિદ અલ ઝૌરાની વચ્ચે વાતચીત થઈ હતી. આ દરમિયાન એવી પણ ચર્ચા થઈ છે કે જો ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો ચેમ્પિયન્સ ટ્રોફીની કેટલીક મેચો અહીં યોજાઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અશરફ અને ખાલિદ વચ્ચેની બેઠકમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, પરંતુ એ વાત પર ચોક્કસપણે ચર્ચા થઈ હતી કે પાકિસ્તાન દ્વારા આયોજિત કેટલીક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં UAE સહયોગ કરશે.

CricketPakistan.comના સૂત્રોએ જણાવ્યું કે જો ભારત પોતાની ટીમને પાકિસ્તાનના પ્રવાસે નહીં મોકલે તો તે સ્થિતિમાં ICCને પોતે વધારાનો ખર્ચ ઉઠાવવો પડી શકે છે. યુએઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની કેટલીક મેચો યોજવા અંગે હજુ પણ જોરદાર ચર્ચા ચાલી રહી છે. જો કે, તે વર્તમાન પરિસ્થિતિ પર નિર્ભર રહેશે.

પીસીબીએ ખાસ કરીને સુરક્ષા મુદ્દાઓ પર કડક વલણ અપનાવ્યું છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે જો કોઈ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કરશે તો ICCએ નિષ્પક્ષ નિર્ણય લેવો પડશે. આંતરરાષ્ટ્રીય સંસ્થાએ એકપક્ષીય નિર્ણયો લેવાનું ટાળવું પડશે. જોકે, આઈસીસીએ આ વાત સ્વીકારી લીધી છે.


Related Posts

Load more