Gujarat ST: હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્યના નાગરિકોને આ તહેવારો દરમિયાન પોતાના વતન જવા માટે સરળતાથી પરિવહનની સુવિધા મળી રહે તે હેતુથી ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ તહેવારો દરમિયાન એસ.ટી દ્વારા વધારાની 1200 જેટલી બસો દોડાવવામાં આવશે. આ સિવાય ગુજરાત એસ.ટી નિગમ દ્વારા કુલ 7100 જેટલી ટ્રીપનું એકસ્ટ્રા સંચાલન કરવામાં આવશે.
1200 વધારાની બસ દોડાવવાનું આયોજન
ગુજરાત એસ.ટી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, રાજ્યના પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંત રામપુર, છોટાઉદેપુર વગેરે જિલ્લાના નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓમાં નોકરી/ વ્યવસાય/ મજૂરી અર્થે આવન જાવન કરે છે. વતનથી બીજા જિલ્લામાં સ્થાયી થયેલા હોય તેવા પરિવારો હોળી- ધૂળેટી જેવા તહેવારોમાં માદરે વતન તરફ મુસાફરી કરતા હોય છે. જેથી, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જેમ કે, અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વિગેરે જગ્યાએ જવા માટે વધારાની 1200 જેટલી બસો વડે કુલ 7100 જેટલી ટ્રીપો સંચાલિત કરવામાં આવશે. જેમાં ડાકોર અને દ્વારકા જવા માટે 500 બસો દ્વારા 4 હજાર જેટલી ટ્રીપ સંચાલિત કરાશે. આ સિવાય તારીખ 10 માર્ચથી 16 માર્ચ દરમિયાન હોળી-ધૂળેટીના તહેવારો નિમિત્તે આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.
ડાકોર ફૂલડોલ ઉત્સવ માટે દોડાવાશે વધુ 400 બસ
ગત વર્ષે ગુજરાત એસ.ટી દ્વારા 1 હજાર જેટલી બસ દ્વારા 6500થી વધુ ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યુંહતું. આ સિવાય ડાકોર રણછોડરાયજી ફૂલડોલ ઉત્સવ માટે 400 બસો દ્વારા 3 હજાર ટ્રીપની દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.
ક્યાંથી મળશે તમામ જાણકારી?
નિગમ દ્વારા કરવામાં આવેલી વધારાની બસની માહિતી સર્વિસ ડેપો તેમજ નિગમની સત્તાવાર વેબસાઈટ www.gsrtc.in પરથી મેળવી શકાશે. આ સિવાય મોબાઇલ એપ્લિકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરન્ટ ઓનલાઇન બુકિંગનો લાભ મેળવી શકશે. તેમજ મુસાફરો પૂછપરછ માટે ડેપો પરથી માહિતી મેળવી શકશે. આ સિવાય ટોલ ફ્રી નંબર, 1800 233 666666 ઉપર 24 કલાક જાણકારી મેળવી શકશે.