દવા અસલી છે કે બનાવટી? QR કોડ સ્કેન કરીને જાણી શકાશે

By: nationgujarat
01 Aug, 2023

નવી દિલ્હી તા.1 : બનાવટી કે હલ્કી ગુણવતાની દવાના દુષણને ડામવા આજથી નવો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. દવાના પેકીંગ પર આજથી કયુઆર કોડ હશે અને તે સ્કેન કરીને લોકો દવા અસલી છે કે કેમ તેની ચકાસણી કરી શકશે. કોડ સ્કેન કરવાથી કંપનીના લાયસન્સ, બેચ નંબર સહિતની માહિતી જોવા મળશે તેના આધારે દવાની પરખ થઈ શકશે.

કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યું કે બનાવટી તથા હલ્કી દવાના દુષણને ડામવા ‘ટ્રેક એન્ડ ટ્રેસ’ પોલીસી અંતર્ગત આ નિયમ લાગુ કરાયો છે. આજથી પ્રથમ તબકકે સૌથી વધુ વેચાતી 300 દવાના પેકેજીંગ પર તે લાગુ થશે. આ 300 દવાનો રીટેઈલ માર્કેટમાં કારોબાર 50000 કરોડનો છે અને તેમાં વિવિધ એન્ટીબાયોટીકસ, હૃદયરોગની દવા, પેઈન રીલીફ (દુખાવામાં રાહત), ડાયાબીટીસ તથા એલર્જી સંબંધી દવાઓ સામેલ છે. સૂત્રોએ કહ્યું કે કેટલાંક વખતથી બનાવટી દવા પકડાવાના કેસો વધી રહ્યા છે. જાણીતી દવા કંપનીઓની બનાવટી દવાઓ પકડાય છે. કફ સીરમ, ઈન્જેકશન તથા વેકસીનમાં પણ આવા કિસ્સા પકડાયા છે.

આ દુષણ ડામવા એક દાયકાથી મહેનત કરવામાં આવી રહી હતી પરંતુ દવા કંપનીઓની પર્યાપ્ત પુર્વતૈયારી ન હોવાથી તેમાં વિલંબ થઈ રહ્યો હતો. હવે કયુઆર કોડ થકી દવાનો યુનિક આઈડેન્ટીફીકેશન કોડ, જેનેરીક નામ, બ્રાંડ, ઉત્પાદકની માહિતી, ઉત્પાદન-એકસપાયરી તારીખ સહિતની વિગતો જાણી શકાશે. કેન્દ્ર સરકારે નવેમ્બર 2022માં નોટીફીકેશન જારી કર્યુ હતું જે અંતર્ગત 1 ઓગષ્ટથી ઉત્પાદીત તમામ દવાના પેકેજીંગમાં કયુઆરકોડ ફરજીયાત જાહેર ર્ક્યુ હતું. આ સંજોગોમાં આવતા થોડા સપ્તાહમાં કયુઆર કોડ સાથેના દવા પેકેજ ઉપલબ્ધ બનશે.


Related Posts

Load more