ગુજરાતમાં વ્યાપમ કરતા પણ મોટું કૌભાંડ ભાજપ સરકારે કર્યું હોવાનો કોંગ્રેસનો દાવો

By: nationgujarat
05 Oct, 2023

અમદાવાદ: કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ભાજપ સરકાર સામે ગંભીર આરોપ લગાવ્યા છે. ગુજરાતની ભાજપ સરકારે વ્યાપમ કરતા મોટું ભરતી કૌભાંડ કર્યું હોવાનો રાવલે દાવો કર્યો છે. ખેડામાં 2008માં 257 શિક્ષકોની ભરતીમાં કૌભાંડ થયાનો હેમાંગ રાવલે દાવો કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, મહેકમ કરતા વધુ શિક્ષકોની ભરતી કરી પગાર ચૂકવવામાં આવ્યો છે. ખેડામાં મહેકમથી વધારે 64 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. અન્ય કૌભાંડમાં મહેકમથી વધુ 23 શિક્ષકોની ભરતી કરાઈ હતી. છેલ્લા 13 વર્ષથી આ પ્રકારે વધારાના શિક્ષકોનો પગાર સરકાર ચૂકવી રહી છે.

તેમણે એમ પણ કહ્યું કે, ભરતી પ્રક્રિયા માટે ઇન્ટરવ્યૂ લેનારના સગાઓને નોકરી આપી દેવાઈ.  આ ભરતી કૌભાંડની જાણ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કરાઈ છે. શિક્ષણ સચિવને પણ જાણ કરાઈ પણ સરકાર કોઈ પગલાં લેતી નથી. હિંમતનગરના ઇડરમાં પણ આ પ્રકારે ભરતી કૌભાંડ થયેલું છે. 20 શિક્ષકો સામે ત્યાં પગલાં લેવાયા. ખેડા જિલ્લાના આ કૌભાંડ મામલે હજુ સુધી કોઈ પગલાં લેવાય નથી. આ ભરતીમાં જે સર્ટિફિકેટ રજૂ કરાયા તે પણ ખોટા છે. વડોદરાની સયાજી હોસ્પિટલના બોગસ સર્ટિફિકેટ રજૂ કરાયા હતા. શારીરિક ખોડખાંપણ અંગેના બોગસ સર્ટી રજૂ કરાયા હતા. સયાજી હોસ્પિટલે 2019માં આ અંગે રદિયો આપેલો. 2021માં ફરી સયાજી હોસ્પિટલ એ જ વ્યક્તિને વિકલાંગતા નું સર્ટી આપે છે.

હેમાંગ રાવલે એવી પણ માંગ કરી છે કે, છેલ્લા 12 વર્ષમાં જે ભરતી થઈ તેના સર્ટિફિકેટની તપાસ કરવામાં આવે. પગાર સરકાર ક્યાંથી ચૂકવે છે તે જાહેર કરે. સંડોવાયેલા અધિકારીઓ સામે સરકાર પગલા લે. સમગ્ર કૌભાંડની તપાસ સીબીઆઈ કરે. 2016થી આ ઘટનામાં પોલીસ તપાસ ચાલુ છે પણ કઈ બહાર આવ્યું નથી. ગુજરાતમા અત્યારે વિધાસહયકોને કોન્ટ્રાક્ટ બેઝ કરાયા છે કાયમી ભરતી નથી કરાયા. ખેડામા વર્ષ 2008મા શિક્ષકોની ભરતીની જાહેરાત કરાઈ હતી.  જે લોકોએ અરજી પણ નોહતી કરી તેમને સરકારી નોકરી આપી મહેકમ કરતા વધારે ભરતી કરીને ભ્રષ્ટાચાર આચરીને સરકારી ખજાનાને કરોડોનો ચુનો  લગાવવામાં આવ્યો. ખોટા શારીરિક ખોડખાપણ અને સ્પોર્ટસ સર્ટિફિકેટ રજુ કરી નોકરી મેળવવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૧૦માં ખેડા જિલ્લામાં ૧૪૧ વિદ્યાસહાયકની ભરતી જાહેરાત બહાર પડી હતી.  ૧૪૧ ભરતીની સાથે ૨૩ એવા ઓર્ડર આપવામાં આવ્યા જે ઉમેદવારોએ અરજી પણ નહોતી કરી. વધુમાં, આ ઉમેદવારોએ અપંગતાના ડુપ્લીકેટ સર્ટિફિકેટ રજૂ કર્યા હતાં. સામાન્ય પ્રવાહમાં પીટીસી વિદ્યાસહાયકમાં ૬૩ની બદલે ૬૭ ઉમેદવારો લેવામાં આવ્યા. જ્યારે વિજ્ઞાનપ્રવાહમાં ૩ વધુ ઉમેદવારો લેવામાં આવ્યા. આવી જ રીતે બીજા વિભાગોમાં પણ ગેરરીતિથી ઉમેદવારો લેવામાં આવ્યા.

સરકારી મહેકમમાં જાહેર કરેલ ૧૪૧ સરકારી શિક્ષકોનો પગાર બજેટમાં ફળવાય પરંતુ વધારાના આ ૨૩ શિક્ષકોનો પગાર હાલ કેવી રીતે અને કયા હેડમાં ચૂકવાય છે તે નવાઈની વાત છે. આ કરોડો રૂપિયાનો વ્યવસ્થિત આયોજનથી કરેલો ભ્રષ્ટાચાર છે. ૧૩ વર્ષોથી સળંગ ચાલતો આ ભ્રષ્ટાચાર છે. ૧૩ વર્ષથી જનતાના પૈસા ગેરરીતીઓ પાછળ  ભાજપ સરકાર પૈસા વેડફી રહી છે.

વર્ષ ૨૦૦૮માં આ જ  રીતે ૨૫૭ જાહેર કરેલ જગ્યા પર વધારાના ૬૪ ઉમેદવારો લેવામાં આવ્યા હતા. જાહેર કરેલ પરિપત્રમાં ઉલ્લેખ હતો કે, જાહેરાતમાં દર્શાવેલ જગ્યા કરતાં એક પણ જગ્યા ભરવી નહિ જો ભરશે તો તે જવાબદારી પ્રાથમિક શિક્ષણ અધિકારીની રહેશે.ભૂતકાળમાં ઇડર અને ખેડબ્રહ્મામાં આ જ પ્રમાણે ભરતી કૌભાંડ ઉજાગર થતાં તે વખતના ડીઈઓ, ક્લાર્ક, ૨૦ જેટલા શિક્ષકો, શાળા સંચાલકો પર એફઆઇઆર કરવામાં આવી હતી અને તેમની પાસે પગારથી ત્રણ ગણી વસુલાત કરવામાં આવી હતી.

તે જ રીતે ભૂતકાળમાં ખોટા વિકલાંગતાના સર્ટિફિકેટ રજૂ કરાયેલ ૨૧ ઉમેદવારોને ભરતીમાંથી રૂખસત કર્યા હતા અને એફઆઇઆર પણ કરવામાં આવી હતી. અહીં અગત્યની વાત એ છે કે, જે લોકો પસંદગી સમિતિમાં હતા તેમના જ બાળકોને ખોટા સર્ટિફિકેટ રજૂ કરી નોકરીમાં લાવવાનો કારસો ઘડવામાં આવ્યો છે અને આજે પણ તેઓ ફરજ પર છે, પગાર મેળવી રહ્યાં છે. જ્યારે પશ્ચિમ બંગાળ અને હરિયાણામાં આ પ્રકારના શિક્ષક ભરતી કૌભાંડ થયા હતા ત્યારે સી.બી.આઇ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને દોષિતો અત્યારે પણ જેલમાં છે. ૨૦૦૮ના વડોદરાના તપાસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ કૌભાંડ મોટું હોવાથી તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવી જોઈએ. પરંતુ, આજ સુધી તે શક્ય બન્યું નથી. આ સિવાય અમરેલી, રાજકોટ, ભાવનગરમાં જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારના કૌભાંડની શક્યતા છે.

વર્ષ – શિક્ષક ભરતી જાહેરાત – મહેકમથી વધુ ભરેલ ઉમેદવારોની સંખ્યા – કુલ ભરતી

૨૦૦૮ – ૨૫૭ – ૬૪ – ૩૨૧
૨૦૧૦ – ૧૪૧ – ૨૩ -૧૬૪

આમ, માત્ર એક જ જિલ્લામાં (ખેડા) જાહેરાત થયેલ ભરતી અને મહેકમ કરતાં ૮૭ શિક્ષકોની ભરતી વધારાની, ભ્રષ્ટાચાર દ્વારા કરીને ખરેખરમાં સાચા મહેનત કરીને મેરિટમાં આવેલ યુવાનોને અન્યાય થયેલ છે તથા સરકારી ખજાનાને કરોડો રૂપિયાનું નુકશાન થયેલ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગ કરે છે કે, આ કૌભાંડની સી.બી.આઈ દ્વારા સઘન તપાસ થવી જોઈએ, સમગ્ર ગુજરાતની ૨૦૧૦થી થયેલ શૈક્ષણિક ભરતીઓની તપાસ કરી તેએઓ રજૂ કરેલ સર્ટીફિકેટની ચકાસણી કરાવીને દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ અને જે લોકો બોગસ – નકલી સર્ટિફિકેટ સાથે નોકરીમાં જોડાયા છે તેમને સત્વરે ઘરે બેસાડવા જોઈએ. સાથે જ, જે સંસ્થાઓ – વ્યક્તિઓએ આ બનાવટી કાંડમાં મદદ કરી છે તેઓને પણ કડક સજા કરવી જોઈએ અને બેરોજગારોને ન્યાય આપી જલ્દીથી ખાલી થયેલા મહેકમ ભરવા જોઈએ.


Related Posts

Load more