વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 12,444 લોકોનું કરાવાયુ સ્થળાંતર

By: nationgujarat
18 Sep, 2023

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડેલા વરસાદના (Rain) પગલે જન જીવન પ્રભાવિત થયુ છે.છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના 126 તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી કુલ 12,444 વ્યક્તિઓનું સ્થળાંતર કરાવાયુ છે. નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી 617 વ્યક્તિઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ આ માહિતી આપી છે.ગુજરાતમાં વરસાદના પગલે એક સ્ટેટ હાઇવે અને 13 પંચાયતના રસ્તાઓ બંધ થયા હતા. જો કે મોડી સાંજ સુધીમાં તમામ રસ્તા પૂર્વવત કરી દેવાની ખાતરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. સ્થળાંતરિત વ્યક્તિઓને સેલ્ટર હોમ ખાતે લઇ જઇ ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે.

એક સ્ટેટ હાઇવે અને 13 પંચાયતના રસ્તાઓ પ્રભાવિત થયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સૂચના મુજબ તમામ અસરગ્રસ્ત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવશ્યક પગલાંઓ લઈ પુનઃ એક વાર ‘ઝીરો હ્યુમન લાઇફ લોસ’ના સૂત્રને સફળ બનાવવામાં આવ્યું છે તેમ રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું છે. રાહત કમિશનરે ઉમેર્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના 126 તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પરિણામે સરદાર સરોવર પરિયોજનામાંથી પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્યમાં એક સ્ટેટ હાઇવે અને 13 પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ રસ્તાઓ આજે મોડી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવાશે.

617 વ્યક્તિઓનું રેસ્ક્યૂ કરાયુ

તેમણે કહ્યું કે, ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી આજે બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 12,444 વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની વિવિધ ટુકડીઓ દ્વારા 617 વ્યક્તિઓને રેસ્ક્યૂ કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રેસ્ક્યૂ કરાયેલા આ તમામ વ્યક્તિઓને સેલ્ટર હોમ ખાતે લઇ જઇ ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યના 80 ડેમ 990 ટકાથી ઉપર ભરાઈ ગયેલા છે. મોટા ભાગના વિસ્તારોમાંથી પાણીના લેવલમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.


Related Posts

Load more