BIG NEWS : ઈરાન પર હુમલા બાદ ટ્રમ્પનું પ્રથમ નિવેદન

By: Nation Gujarat Team
28 Feb, 2026

મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈઝરાયલે આજે વહેલી સવારે ઈરાન પર વળતો પ્રહાર કરતાં મોટો સૈન્ય હુમલો કર્યો છે. ઈઝરાયેલી સંરક્ષણ મંત્રીએ આ હુમલાની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે ‘શીલ્ડ ઑફ જુદાહ’ ઓપરેશન હેઠળ ઈરાન પર અનેક મિસાઇલો દાગવામાં આવી છે. જેના પગલે હાલ અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે મોટા યુદ્ધના એંધાણ સર્જાયા છે. સૌથી મહત્ત્વની જાણકારી મળી રહી છે કે હુમલા બાદ અમેરિકાએ પ્રથમ પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે હુમલા હજુ ઈરાન પર ચાલુ જ રહેશે. તો બીજી બાજુ ઈરાને પણ વળતો જવાબ આપીને ધમકી આપી છે કે યુદ્ધ તમે શરુ કર્યું છે પરંતુ ખતમ અમે કરીશું.

અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં હુમલા કર્યા બાદ ટ્રમ્પે પ્રથમ નિવેદન આપતાં કહ્યું કે ઈરાન ક્યારેય પરમાણુ શક્તિ નહીં બની શકે. તે પરમાણુ બોમ્બ બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. અમે ઈરાનની નેવીને જ ખતમ કરવા જઈ રહ્યા છીએ. અમે ઈરાનના મિસાઇલ ઠેકાણાઓને નષ્ટ કરી નાખીશું. તે અમેરિકાને નિશાન બનાવવાની ફિરાકમાં હતું. અમે ઈરાનના પરમાણુ સેન્ટરને જ ઉડાવી નાખીશું.

ઈરાનમાં ગૃહયુદ્ધ ભડકાવવાની ટ્રમ્પની કોશિશ! 

ટ્રમ્પે ઈરાનના નાગરિકોને અપીલ કરતાં કહ્યું કે તમે રસ્તા પર ઉતરી આવો અને ઈરાનની સત્તા પર કબજો કરી લો. આ દરમિયાન ટ્રમ્પે એમ પણ કહ્યું કે આ યુદ્ધમાં અમેરિકાના સૈનિકો પણ જીવ ગુમાવી શકે છે. અમે મધ્યપૂર્વમાં અમારા તહેનાત લડાકૂ વિમાનો દ્વારા ઈરાનને નિશાન બનાવી રહ્યા છીએ.

તેહરાનમાં હડકંપ: રાષ્ટ્રપતિ ભવન પર હુમલો

અહેવાલ મુજબ, ઈઝરાયેલે ઈરાનની રાજધાની તેહરાન સહિત 30 જેટલા વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવ્યા છે. સૌથી ચોંકાવનારી વિગત એ છે કે ઈઝરાયેલે ઈરાનના રાષ્ટ્રપતિ ભવનને પણ નિશાન બનાવ્યું હોવાના અહેવાલ છે. તેહરાનના મેહરાબાદ ઍરપોર્ટ અને પૂર્વી-પશ્ચિમી વિસ્તારોમાં પ્રચંડ વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. હુમલા બાદ ઈરાને સાવચેતીના ભાગરૂપે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ ઠપ્પ કરી દીધી છે.

અમેરિકાની એન્ટ્રી અને ઈરાકમાં ઍલર્ટ

માત્ર ઈઝરાયેલ જ નહીં, પરંતુ અમેરિકાએ પણ મિડલ ઈસ્ટમાં આવેલા પોતાના બેઝ પરથી ઈરાન વિરુદ્ધ મોરચો ખોલ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સંઘર્ષની અસર પાડોશી દેશો પર પણ જોવા મળી રહી છે, જ્યાં ઈરાકે પોતાનો એરસ્પેસ બંધ કરી હાઇ ઍલર્ટ જાહેર કર્યું છે.

ભારત સરકાર એક્શનમાં: નાગરિકો માટે એડવાઇઝરી

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતાં જતાં તણાવને જોતાં ભારત સરકાર પણ સતર્ક થઈ છે. વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલમાં રહેતા ભારતીય નાગરિકો માટે ઍલર્ટ જાહેર કર્યું છે અને તેમને સુરક્ષિત સ્થળોએ રહેવા તેમજ બિનજરૂરી અવરજવર ટાળવા સૂચના આપી છે.

હુમલા બાદ હાલની પરિસ્થિતિ

ઈઝરાયેલમાં ઈમરજન્સી: સંભવિત જવાબી હુમલાના ડરથી ઈઝરાયેલમાં ઈમરજન્સી જાહેર કરાઈ છે અને તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

એરસ્પેસ સીલ: ઈરાન અને ઈઝરાયેલ બંને દેશોએ પોતાની હવાઈ સરહદો સામાન્ય વિમાનો માટે બંધ કરી દીધી છે.

ડિપ્લોમેટિક ઍલર્ટ: અમેરિકાએ તેના રાજદ્વારીઓને સુરક્ષિત બંકરો(શેલ્ટર)માં છુપાઈ જવા આદેશ આપ્યો છે.

ઈરાનની ધમકી : વળતા જવાબમાં અમેરિકા-ઈઝરાયેલને ઈરાને ધમકી આપી છે કે યુદ્ધ તમે શરુ કર્યું છે પરંતુ ખતમ અમે કરીશું


Related Posts

Load more