Botad News: સાળંગપુર કષ્ટભંજનદેવને શ્રાવણ માસના શનિવાર નિમિત્તે ચોકલેટનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો

By: Nation Gujarat Team
29 Aug, 2026

બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આવેલા શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શ્રાવણ માસના પવિત્ર શનિવાર નિમિત્તે અનોખી અને અલૌકિક ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ અવસરે હનુમાનજી દાદાને વિવિધ પ્રકારની રંગબેરંગી ચોકલેટથી ભવ્ય અને દિવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દાદાના આ અનોખા રૂપે ઉપસ્થિત સૌ કોઈ ભક્તોના દિલ જીતી લીધા હતા.

ચોકલેટનો મોર, ચાંદીનો મુકુટ અને મોરપીંછની થીમ

આજના શણગારની મુખ્ય વિશેષતા ચોકલેટથી બનાવવામાં આવેલો મોર અને તેની આકર્ષક પાંખોની કૃતિ રહી હતી, જે ભક્તોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત, દાદાને ચાંદીનો સુંદર મુકુટ અને અત્યંત આકર્ષક એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. સમગ્ર મંદિર પરિસરને મોરપીંછની થીમ આધારિત સજાવવામાં આવતા વાતાવરણ અત્યંત મનમોહક અને ભક્તિમય બની ગયું હતું.

ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન દર્શનનો લાભ લીધો

શ્રાવણ મહિનાના શનિવારના આ પવિત્ર દિવસે દાદાના દિવ્ય રૂપના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સ્થળ પર પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને તેમજ દેશ-વિદેશમાં વસતા હજારો ભક્તોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન દિવ્ય દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.


Related Posts

Load more