કોંગ્રેસ રાશનમાં આપતી હતી ખાંડ, ભાજપ સરકારનો 36 હજાર કરોડનો ખાંડ ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ

By: Nation Gujarat Team
27 Aug, 2026

દેશમાં હવેના 4 મહિના તહેવારોથી ભરપુર રહેવાના છે તે સમયે જ હવે ખાંડ મોધી થતા ગરિબ અને સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડશે તે નક્કી છે. ખાંડ જીવન જરૂરિયાતની વસ્તુ છે અને તેના ભાવ વધતા મહિલાઓનું બજેટ ખોરવાશે તે નક્કી છે ત્યારે કોંગ્રેસે આજે દિલ્હીથી પ્રેસ કરી સરકારને આડે હાથે લઇ ખાંડના ભાવમાં જાણી જોઇને ભાવ વધારો કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે અને જનતાના કરોડો રૂપિયા સરકાર પડાવી લેશે તે અંગે આક્ષેપ કર્યા

પ્રેસના અગત્યના મુદ્દાઓ

• તહેવારોની સિઝન શરૂ થઈ છે અને આવા સમયે મીઠાઈઓ પર મોંઘવારીનો માર પડ્યો છે.
• સંગ્રહખોરો અને કાળાબજારી કરનારાઓની બોલબાલા અને 36 હજાર કરોડના ખાંડમાં ભ્રષ્ટાચાર વિશે દિલ્હી કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી તેના અગત્યના મુદ્દા:
• મોંઘી ખાંડએ આજે દેશના નાગરિકોને તહેવાર સમયે મીઠાશ કડવી ખરી નાખી છે.
• દેશમાં ખાંડની કિંમત 45 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 70થી 75 રૂપિયા થઈ.
• તહેવાર સમયે નાગરિકોને ખુલ્લેઆમ સંગ્રહખોરી અને કાળાબજારીઓ દ્વારા લૂંટવા દેવાનો મોદી સરકારનો આ માસ્ટર સ્ટ્રોક છે.
• ખાંડની વધતી કિંમતો અને સામાન્ય લોકો પર પડેલા મોંઘવારીના મારને ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીય કે બિહારના શ્રવણકુમાર આને માસ્ટર સ્ટ્રોક કહી રહ્યા છે.
• આ નેતાઓ જનતાને જ્ઞાન આપે છે કે ડાયાબિટીસને દૂર કરવા મોદીજીએ ખાંડને મોંઘી કરી અને ખાંડ પેટ્રોલમાં નાખી, જેના પરિણામે દેશના વાહનોને હવે ડાયાબિટીસ થઈ ગયું છે.
• ગાડીઓ ગેરેજમાં ભરતી થઈ રહી છે, લોકોના ખિસ્સા હવે ગેરેજમાં પણ ખાલી થઈ રહ્યા છે.
• 12 વર્ષમાં આ જ રીતે મોદી સરકાર માસ્ટર સ્ટ્રોક મારી રહી છે, પેટ્રોલ-ડીઝલ મોંઘા કરી મેદસ્વિતા ઘટાડી રહી છે, ગેસના ભાવ વધારી ઓછું ખાવાનું અને સ્લિમ બનાવાનું જ્ઞાન આપી રહી છે, હાર્ટ એટેકથી બચાવવા ખાવાના તેલની કિંમતો વધારવામાં આવી, બાળકોને પરીક્ષામાં વધુ તૈયારીઓ કરવા પેપર લીક કરાવી રહ્યા છે.
• ખાંડનો મામલો 36 હજાર કરોડનો ભ્રષ્ટાચાર છે તે વિશે સમજાવતા જણાવ્યું કે, 2025-26 ઓપનિંગ શુગર સ્ટોક 50 લાખ ટન હતો, 24-25ના વર્ષ કરતાં 30 લાખ ટન ઓછો છે.
• ઇન્ડિયન સુગર મિલની વેબસાઇટમાં જણાવેલા આંકડા પ્રમાણે 30 એપ્રિલ 2026માં પ્રેસ જાહેર કરી જણાવ્યું કે, 2025-26માં ખાંડનું ઉત્પાદન 275 લાખ મેટ્રિક ટન થયું, 30 લાખ મેટ્રિક ટન ઓછું છે. એટલે એપ્રિલ અને મેના અંત સુધીમાં મોદી સરકારને જાણ થઈ ગઈ કે ખાંડની અછત થવાની છે.
• ખાંડનું ઉત્પાદન અને ઓપનિંગ સ્ટોક પણ ઓછું છે તેની જાણ સરકારને હતી, જાણી જોઈને મોદી સરકાર સૂતી રહી અને આજે ખાંડની કિંમતો વધી છે.
• દેશમાં દર મહિને ખાંડની જરૂરિયાત 24 લાખ ટન છે એવરેજ, તહેવાર સમયે આ જરૂરિયાત 30 લાખ ટન મહિને થાય છે. ચાર મહિનામાં મોટા તહેવારો આવે છે અને તહેવાર સમયે જરૂરિયાત 30 લાખ ટનની હોય છે, એટલે કે 120 લાખ ટનની જરૂરિયાત પડશે તે સરકાર જાણતી હતી.
• પહેલી વખત દેશમાં ખાંડની અછત પડી છે. 20 ઓગસ્ટે સરકારે ઓર્ડર જાહેર કર્યો અને કહ્યું કે દેશ રો-સુગર 10 લાખ ટન વિદેશથી મંગાવીશું.
• આ ખાંડ બ્રાઝિલથી મંગાવવામાં આવી. મે, જૂન અને જુલાઈ સુધી સરકારે કોઈ કાર્યવાહી ન કરી. સમુદ્રના રસ્તે આ ખાંડ આવતા 55 દિવસ જેટલો લાગે છે. રો-સુગરને પ્રોસેસમાં લાગશે બીજા 10થી 15 દિવસ, એટલે કે ઓક્ટોબર નીકળી જશે, એટલે કે ખાંડ તહેવાર સમયે દેશવાસીઓને મળશે નહીં.
• સરકારને જાણ હતી. એપ્રિલ 2026માં ખાંડનો સ્ટોક જેમની પાસે હતો તેમનો ભાવ 40થી સીધો 75 રૂપિયા થઈ ગયો. 120 લાખ ટન ખાંડની અછત ચાર મહિના રહેવાની છે. 30 રૂપિયા જો નાગરિકો વધારે આપે તો કુલ 36 હજાર કરોડ રૂપિયા વધારાના થશે.
• સત્તાની સાઠગાંઠનું આનાથી મોટું કોઈ ઉદાહરણ ન હોઈ શકે.
• અશોક ગુલાટીએ કહ્યું હતું કે, 10 લાખથી કશું નહીં થાય, 40 લાખ ટનની અછત છે. તો આ માટે હવે કોણ જવાબદાર છે તે તમે જાણો છો.
• ખાંડની અછત કેમ સર્જાઈ તે મુદ્દે જણાવ્યું કે,
• નવેમ્બર 2025થી જુલાઈ 2026 વચ્ચે ઇ-20 ભેળસેળ પેટ્રોલના ઉત્પાદનમાં 32 ટકા શેરડીના રસનો ઉપયોગ કર્યો, જે સરકાર તમને જણાવતી નથી.
• જો આ સ્ટોકને ખાંડની પ્રોસેસમાં વાપર્યો હોત તો દેશને આજે ખાંડની અછતનો સામનો ન કરવો પડ્યો હોત.
• તહેવાર સમયે વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સ્કીમ લાવતી હતી તે હતી 40 કરોડ લોકોને રાશનની દુકાનમાંથી 500 ગ્રામ ખાંડ પ્રતિ વ્યક્તિ 13.50 પ્રતિ કિલો આપતી હતી અને બાકીના રૂપિયા કેન્દ્ર સરકાર આપતી હતી. તે સમયે ખાંડ 18.50 રૂપિયા પ્રતિ કિલો હતી.
• 2017માં મોદીજીએ આ યોજના બંધ કરી દીધી અને રાશનની દુકાનથી કોઈને હવે ખાંડ મળતી નથી.
• મોદી સરકારની મોંઘવારી તહેવારો સમયે દેશવાસીઓ વારંવાર અનુભવ કરશે. આ ગિફ્ટ સરકારે જનતાને આપી છે.


Related Posts

Load more