ખાંડ હજુ મોંઘી કરી દો, 40થી વધુ વયના લોકોને તો મળવી જ ના જોઈએ..’ ભાજપના મંત્રીનું વિચિત્ર નિવેદન

By: Nation Gujarat Team
27 Aug, 2026

પહેલા પેટ્રોલ-ડીઝલ, પછી ખાદ્ય તેલ અને હવે ખાંડની વધતી કિંમતોએ લોકોની ચિંતા વધારી દીધી છે ત્યારે ભાજપના મંત્રીએ આવા સંકટના સમયે પણ વિચિત્ર નિવેદનો આપીને લોકોની જાણે હસી ઉડાડતા હોય તેવો આભાસ થાય છે. અનેકવાર પોતાના વિવાદિત નિવેદનો માટે ચર્ચામાં રહેલા કૈલાશ વિજયવર્ગીયએ આ વખતે ખાંડ વિશે કંઇક એવું કહી દીધું કે જેનાથી તે ફરી લોકોના નિશાને આવી ગયા છે.

શું બોલ્યા કૈલાશ વિજયવર્ગીય

ખાંડની વધતી જતી કિંમતો વચ્ચે કૈલાશ વિજયવર્ગીયએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે ‘ખાંડ એટલી મોંઘી કરી દેવી જોઇએ કે તે 40થી વધુ વયના લોકોને તે મળવી જ ના જોઈએ, આજકાલ તો 90% લોકો એવા છે જે ગળ્યું ખાવાનું પસંદ જ નથી કરતા અને મેં પોતે પણ મીઠી વસ્તુઓ ખાવાનું બંધ કરી દીધું છે.’

વિપક્ષે મુદ્દો ઊઠાવ્યો તો કહ્યું – ભાવ ઘટી રહ્યા છે

જ્યારે તહેવારોની સિઝનમાં ખાંડના ભાવ આકાશ આંબી રહ્યા છે ત્યારે વિપક્ષ પણ સત્તાપક્ષ ભાજપ આકરા પ્રહારો કરી રહ્યું છે. તેને જોતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે ખાંડના ભાવ તો ઘટી રહ્યા છે. તેમણે મજાકમાં કહ્યું કે ખાંડ એટલી મોંઘી કરી દો કે તે ફક્ત બાળકો માટે જ રેશનની દુકાન પર સસ્તા ભાવે મળે અને વૃદ્ધોને તો આપવી જ નહીં. ડૉક્ટર હોય કે આયુર્વેદના જાણકાર હોય તેઓ 40 વર્ષથી વધુ વયના લોકોને ખાંડ ખાવા મળે તે સારુ નથી માનતા. 40થી વધુ વયના લોકોને ગળ્યું ખાવાનુ મન થતું હોય તો ક્યારેક ગોળ ખાવી લેવાનુ પણ ખાંડથી તો બચવું જ જોઈએ.

ગરીબોનું અપમાન કર્યું : વિપક્ષ

કૈલાશ વિજયવર્ગીયના નિવેદન પર મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જીતુ પટવારીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે ભાજપના નેતાઓ મોંઘવારી ઘટાડવાનો વાયદો કરી સત્તામાં આવ્યા હતા પણ હવે ખાંડ મોંઘી થતા તેમના નેતા-મંત્રીઓ વાહિયાત નિવેદનો કરીને ગરીબોની મજાક ઉડાવી રહ્યા છે, તેમનું અપમાન કરી રહ્યા છે. ભાજપના નેતાઓને દેશ જોઈ રહ્યું છે. આગામી ચૂંટણીમાં પ્રજા તેમની આ મજાકનો આકરો જવાબ આપશે.


Related Posts

Load more