હાઉસિંગ સોસાયટીઓની મનમાની અટકાવવા મહત્તમ ટ્રાન્સફર ફી નક્કી કરાઈ, ગુજરાત સરકારનો નિર્ણય

By: nationgujarat
03 Mar, 2025

Gujarat Govt Set Housing Societies Transfer Fees: ગુજરાતમાં 30 હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટી છે, ત્યારે આવી સોસાયટીઓનું સંચાલન સહકારી કાયદા અન્વયે થતું હોય છે. આવી સોસાયટીઓમાં કોઈ વ્યક્તિ દ્વારા ઘરની ખરીદી કરાય ત્યારે સોસાયટી દ્વારા તે વ્યકિત પાસેથી ટ્રાન્સફર ફી વસૂલાય છે. આવી ટ્રાન્સફર ફી બાબતે સહકારી કાયદા અને નિયમોમાં જોગવાઈ ન હોવાના અભાવે, સોસાયટીઓ દ્વારા મનમાની કરીને વ્યક્તિઓ પાસેથી મોટી ટ્રાન્સફરથી વસૂલાતી હોવાની ફરિયાદો રાજ્ય સરકારને મળતી હતી. આ વાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સહકારી કાયદામાં સુધારા કર્યા છે.રાજ્ય સરકારે ત્રીજી માર્ચ, સોમવારના રોજ સહકારી કાયદામાં સુધારા કરી કેટલાક નિયમો નક્કી કર્યા છે. જે અનુસાર હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈ પણ ઘરનાં ખરીદ/ વેચાણ સમયે કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ રૂ. એક લાખ કરતાં કોઈ વધુ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકશે નહીં તેવી જોગવાઈ કરાઈ છે. આ રકમ મહત્તમ છે, તેથી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટી પોતાની મેળે તે રકમમાં ઘટાડો કરી શકે છે. જો કે, કોઈ પણ સંજોગોમાં આ રકમથી વધુ રકમ વસૂલ કરી શકાશે નહીં.રાજ્ય સરકારને અનેક ફરિયાદો મળ્યા પછી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીમાં થતી હેરાનગતિને અટકાવવા માટે ટ્રાન્સફર સંબંધિત જરૂરી નિયમો બનાવવાનું નક્કી કરાયું હતું.

આ લોકો પાસેથી નહીં વસૂલાય ટ્રાન્સફર ફી

આ અંગે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં પ્રમુખ/મંત્રી અને કમિટી સભ્યો દ્વારા મકાનની ખરીદ/વેચાણ સમયે વ્યક્તિને ટ્રાન્સફર ફી વસૂલવા માટે કરાતી કાર્યવાહી સામેમાં પણ મોટી રાહત મળશે. આ નિયમો અનુસાર, કોઈપણ કાયદેસરના વારસદારને જો કોઈ અવેજ વગર મિલકત ટ્રાન્સફર કરાઈ હશે તો પણ ટ્રાન્સફર ફી વસૂલી નહીં શકાય. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ પાસેથી ડેવલપમેન્ટ ચાર્જ, દાન કે અન્ય કોઈપણ નામે ગમે તેટલી રકમ (ટ્રાન્સફર સમયે) સોસાયટી દ્વારા વસૂલ કરી શકાશે નહીં.

રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આ નિર્ણયથી સોસાયટીઓની કામગીરીમાં નિયમિતતા આવશે. આ ઉપરાંત સોસાયટી સાથે જોડાનારા લાખો સભ્યોને પણ ભવિષ્યમાં મોટી રાહત મળશે.


Related Posts

Load more