PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (1 માર્ચ, 2025) સાંજે જામનગર પહોંચ્યા છે. તેઓ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. જામનગર ઍરફોર્સ સ્ટેશન ખાતે મંત્રી રાઘવજી પટેલ, મુળુ બેરા અને સાંસદ પૂનમ માડમ સહિત મહાનુભાવોએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. જણાવી દઈએ કે, આ દરમિયાન તેઓ જામનગર અને ગીર સોમનાથની મુલાકાત લેશે.
જામનગરમાં રોડ શો યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 7.30 કલાકે જામનગર ઍરપોર્ટ પર પહોંચ્યાં હતા. જણાવી દઈએ કે, જામનગર ઍરપોર્ટથી પાયલોટ બંગલા સુધીના માર્ગ પર રોડ શો યોજાયો છે. આ દરમિયાન રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાનની મુલાકાતને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તંત્ર દ્વારા પાયલોટ બંગલા સુધીનો રોડ કોર્ડન કરવામાં આવ્યો છે. તેઓ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજા સાથે મુલાકાત કરીને તેમને જન્મદિનની શુભકામનાઓ પણ પાઠવશે. તેઓ જામનગરના સર્કિટ હાઉસમાં આજે રાત્રિ રોકાણ પણ કરશે. વડાપ્રધાન રાત્રિ રોકાણ બાદ આવતીકાલે સવારે ફરી મોટર માર્ગે જામનગરના ઍરપોર્ટ પર પહોંચે અને ચોપર હેલિકોપ્ટર મારફતે તેઓ રિલાયન્સમાં ઉતરાણ કરે, તેવી પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
2 માર્ચનો વડાપ્રધાનનો કાર્યક્રમ
વડાપ્રધાન મોદી આવતીકાલે (રવિવાર) સવારે 6 વાગ્યાથી ‘વનતારા’ એનિમલ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત પણ લેશે. જ્યાં તેઓ બપોરે 1 વાગ્યા સુધી રોકાશે. ત્યારબાદ બપોરે 1.30 વાગ્યે સોમનાથ પહોંચશે. ત્યાં બપોરનું ભોજન પણ લેશે. જ્યાં બપોરે 2.15 વાગ્યે તેઓ સોમનાથ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભગવાન શિવની આરતી, પૂજન અને દર્શન કરશે. બાદમાં વડાપ્રધાન મોદી ગીર સોમનાથ તાલુકાના સ્થાનિક કાર્યકર્તાઓ, ભાજપના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરવાના છે. બપોરે 3 વાગ્યે ત્યાંથી રવાના થશે અને બપોરે 4 વાગ્યે સાસણગીર પહોંચશે. સાસણ ગીર ખાતે તેઓ રાત્રિ રોકાણ પણ કરશે.
3 માર્ચનો વડાપ્રધાનનો કાર્યક્રમ
વડાપ્રધાન મોદી સોમવાર સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી જંગલ સફારીની મુલાકાત લશે. ત્યારબાદ સવારે 10 વાગ્યે વન વિભાગની નેશનલ વાઇલ્ડલાઇફ કૉન્ફરન્સમાં પણ ભાગ લેશે. તેઓ બપોરે 1 વાગ્યા આસપાસ તેઓ રાજકોટ ઍરપોર્ટ પહોંચશે અને બપોરે 2 વાગ્યે રાજકોટથી દિલ્હી જવા રવાના થશે. આમ, વડાપ્રધાન ત્રણ દિવસ ગુજરાત મુલાકાત અંતર્ગતનો ત્રણ જિલ્લામાં પ્રવાસનો ખેડશે.