જૂનાગઢમાં તાજેતરમાં થયેલી ધાર્મિક ઘટનાએ હવે રાજકીય રંગ પકડી લીધો છે. વાસ્તવમાં મહાશિવરાત્રિના દિવસે ભવનાથના મૃગીકુંડ ખાતે થયેલા વિવાદના સમાધાન દરમિયાન એક એવી વાત સામે આવી કે જેના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. વિગતો મુજબ સમાધાન માટે ગયેલી કીર્તિ પટેલની હાજરીમાં જગતગુરુ મહેન્દ્રાનંદગિરી બાપુએ એક નિવેદન આપ્યું, જેને લઈને હવે અનેક સવાલો ઊભા થયા છે.
ઈન્દ્રભારતી બાપુને શાલ ઓઢાડવાની વિધિ દરમિયાન જગતગુરુ મહેન્દ્રાનંદગિરી બાપુએ કીર્તિ પટેલ ધારાસભ્ય બને તેવી શુભેચ્છા અને આશીર્વાદ આપવા વિનંતી કરી. આ નિવેદન સાથે જ કીર્તિ પટેલે પણ હામી ભરી હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે હવે આ સમગ્ર વાતચીતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મૃગીકુંડમાં સ્નાન મુદ્દે ઉભેલા વિવાદને સમાધાન કરવા સાધુ-સંતો એકત્ર થયા હતા. વાતચીત અને સમજૂતી વચ્ચે અચાનક રાજકીય સંકેતો મળતા જ ચર્ચાએ નવો વળાંક લીધો. પ્રશ્ન એ છે કે શું આ માત્ર આશીર્વાદની વાત હતી કે પછી તેના પાછળ કોઈ રાજકીય યોજના છે? શું કીર્તિ પટેલ હવે સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે? કે પછી આ માત્ર પ્રસંગોપાત બોલાયેલા શબ્દો હતા?
જગતગુરુ મહેન્દ્રાનંદગિરી બાપુના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો આને માત્ર ધાર્મિક આશીર્વાદ તરીકે જોઈ રહ્યા છે, તો કેટલાક લોકો રાજકીય એન્ટ્રીની સંભાવના તરીકે ચર્ચા કરી રહ્યા છે. જોકે અહીં એ વાત પણ નોંધનીય છે કે, હજી સુધી કીર્તિ પટેલ દ્વારા સત્તાવાર રીતે રાજકારણમાં પ્રવેશ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
ભવનાથના મૃગીકુંડમાં સ્નાન કરવાની ઘટનાને લઈને ચર્ચામાં આવેલી કીર્તિ પટેલે હવે ઇન્દ્ર ભારતીબાપુ સાથે સમાધાન કર્યું છે. હોળીના દિવસે તેણે બાપુને સાલ ઓઢાડી અને પગે લાગી આશીર્વાદ લીધા હતા. આ સાથે કીર્તિ પટેલે જે નિવેદન આપ્યું તેનો વીડિયો પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હોળીના દિવસે કીર્તિ પટેલની સાથે હરીહરાનંદ ભારતી બાપુ અને જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરી બાપુ પણ હાજર રહ્યા હતા. કીર્તિ પટેલે બંને મહંતોને પણ સાલ ઓઢાડી સન્માન આપ્યું અને આશીર્વાદ મેળવ્યા. કીર્તિ પટેલે જણાવ્યું કે, ભારતી પરિવારને તોડવાના અનેક પ્રયાસો થયા, પરંતુ ગિરનારી મહારાજની કૃપાથી કોઈ સફળ ન થયો. આ નિવેદનથી એવું લાગી રહ્યું છે કે, બંને પક્ષ વચ્ચે હવે મતભેદો દૂર થયા છે. સમાધાનની આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે.
શું હતો વિવાદ?
15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે ભવનાથ ખાતે આવેલા મૃગીકુંડમાં કીર્તિ પટેલ ભગવા વસ્ત્રોમાં સ્નાન કરવા પહોંચી હતી. આ ઘટનાને લઈને કેટલાક સાધુ-સંતોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આ મામલે પોલીસમાં ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હતી. જેમાં એક મહિલા પોલીસ અધિકારીએ ફરજમાં અડચણ અને ધમકીનો આરોપ મૂક્યો. પ્રભાસ પાટણના એક સાધુએ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ કર્યો અને એક સ્થાનિક યુટ્યુબરે ખંડણી અને ધમકી અંગે ફરિયાદ નોંધાવી. આ કેસોમાં નામ આવતા કીર્તિ પટેલ ફરાર હતી. બાદમાં માહિતીના આધારે પોલીસે તેને ઉદયપુરમાંથી ઝડપી પાડી હતી.