આજે લગ્ન નોંધણીના નિયમોમાં મહત્વના સુધારા રજૂ કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું, જેનો હેતુ લગ્નમાં થતા છળ-કપટને અટકાવવાનો અને દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, લગ્નમાં છળ કપટ કરનારાઓના એવો હાલ કરીશું કે જીવનમાં કોઈ દીકરી સામે આંખ ઉંચી કરીને નહીં જોઈ શકે. ભોળી દીકરીને સલીમ સુરેશ બનીને લાગણીને ઠેસ પહોંચાડશે તો ખેર નહીં. હવેથી કોઈ પણ યુગલ લગ્ન નોંધણીની અરજી કરશે તો માતા-પિતાને જાણ કરાશે. જી હા…40માં દિવસે મેરેજ સર્ટિફિકેટ મળશે.
નવા નિયમોમાં શું ફેરફાર કરવામાં આવ્યા?
સરકારે લગ્ન નોંધણીની પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા છે. જેમાં લગ્ન નોંધણી સમયે હવે વર અને વધૂ બંનેની પ્રત્યક્ષ હાજરી ફરજિયાત રહેશે. લગ્ન નોંધણી કરાવતી વખતે માતા-પિતાનું ડિકલરેશન (સંમતિ/જાણકારી) આપવું પડશે. લગ્ન નોંધણીના દિવસે જ તંત્ર દ્વારા વર-વધૂના માતા-પિતાને જાણ કરવામાં આવશે. લગ્નની તમામ વિગતો 10 દિવસની અંદર માતા-પિતાને મોકલી આપવામાં આવશે.
લગ્ન સંસ્કાર છે, સોદાબાજી નહીં
બિલ રજૂ કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ સોળ સંસ્કાર પૈકીનો એક અત્યંત મહત્વનો સંસ્કાર છે. લગ્ન પરંપરા છળ અને કપટથી ન થવી જોઈએ.” તેમણે વધુમાં ઉમેર્યું કે, વર્તમાન સમયમાં ‘લવ જેહાદ’ ના નામે જે ખેલ ખેલાઈ રહ્યો છે, તેમાં ઓળખ છૂપાવીને દીકરીઓને ફસાવવામાં આવે છે. ઐતિહાસિક સંદર્ભ આપતા તેમણે કહ્યું કે જે રીતે રાવણે છળથી સીતાજીનું હરણ કર્યું હતું અને અલાઉદ્દીન ખિલજીએ લોહીની નદીઓ વહાવી હતી, તેવી જ રીતે આજે પણ સમાજમાં છળ-કપટ જોવા મળે છે.